રસિયા અને યુક્રેઇન વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે.ત્યારે યુક્રેનમાં વસતા ભારતીયો ઉચ્ચક જીવે ભારત આવવા ભટકી રહ્યા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. યુક્રેઇન બોર્ડર પર આવેલ પોલેન્ડ તરફ ભારતીય વિદ્યાર્થીઓ પહોચી રહ્યા છે, કારણ કે તેઓને ખબર છે ભારતનું ઋણ ચુકવવાનો પોલેન્ડનો વખત છે.

સમય છે આસરા ધર્મ નિભાવવાનો, વાત છે વિશ્વ યુદ્ધ બેના સમયની, જયારે રસિયા-યુએસએસઆર સંગઠિત દેશોએ પોલેન્ડ પર ચડાઈ કરી, એ સમયે ભારત આવેલ એક હજારથી વધુ બાળકોને જામનગરના જે તે સમયના રાજાએ શરણ આપી, પોલેન્ડનો વારસો જીવિત રાખ્યો હતો. આ બાળકોનું ન અહી લાલન પાલન કરાયું પણ એની જ ભાષામાં શિક્ષણ આપી સર્વાંગી વિકાસ પણ કરાયો આજે જયારે ભારતીય વિદ્યાર્થીઓ પર યુક્રેઇનમાં આફત આવી છે ત્યારે પોલેન્ડ પાસે ઋણ ચુકવવાનો અવસર આવ્યો છે.

હાલ રશિયામાંથી સૈન્ય હુમલાની વચ્ચે યુક્રેનમાંથી નિકળી રહેલા ભારતીયોને પાડોશી દેશ પોલેન્ડનો મોટો સહારો મળી રહ્યો છે. પોલેન્ડમાં તેમને રહેવા-ખાવા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. ક્યારેક ભારતે પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપ્યો હતો, તે સમયે પોલેન્ડે આ જ રશિયાના હુમલાનો શિકાર થયું હતું. હકીકતમાં જોઈએ તો, જગત કલ્યાણની કલ્પના ભારતીય માનસપટ પર પહેલાથી બનેલી છે. પશ્ચિમી દેશ પોલેન્ડે તેનો અનુભવ કર્યો અને ભાવવિભોર થઈ ચોક, પાર્ક, સ્કૂલોને પણ ભારતના મહારાજાનું નામ આપી દીધું.

તે હતા તત્કાલિન જામનગર રજવાડાના મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજા. તેમણે પોલેન્ડના નવા છોડમાં તે સમયે સિંચ્યા હતા જતનના પ્રાણ, જે તે સમયે જર્મની અને રશિયાના હુમલામાં નિ:સહાય થઈ ગયું હતું પોલેન્ડ. વાત થઈ રહી છે કે, યુદ્ધમાં અનાથ થયેલા પોલેન્ડના ૧૩૭૫ બાળકોની, જેને મહારાજા દિગ્વિજય સિંહે ન ફક્ત આશરો આપ્યો, પણ એક પિતા જેવી છત્રછાયા પણ આપી. પોલેન્ડ સરકારે મહારાજા દિગ્વિજય સિંહને મરણોપરાંત પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દ ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કર્યા હતા.

હકીકતમાં દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન તાનાશાહ હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું. જર્મન અટેકના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. પોલેન્ડ પોતાની શરણમાં ન આવ્યું ત્યાં સુધી તાબાવી વર્તાવી હતી. આ યુધ્ધમાં પોલેન્ડના સેંકડો સૈનિક માર્યા ગયા હતા દેશ તહસ નહસ થઇ ગયો, સેકડો બાળકોએ માતાપિતા ગુમાવ્યા અને કેમ્પમાં આશરો મેળવ્યો, પરંતુ વર્ષ 1941માં રશિયાએ કેમ્પ ખાલી કરવાનો ઓર્ડર આપી દીધો, ત્યારે બાળકોને અન્ય દેશમાં ખસેડી લેવા નક્કી કરવામાં આવ્યુ હતું.

બાળકોના સ્થળાંતરને લઈને બ્રિટિશ વોર કેબિનેટની મીટિંગ મળી, જે તે સમયે નવાનગરના (હાલના જામનગર) રાજા દિગ્વિજય સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. પોતે આ બાળકોને પોતાના રાજ્યમાં લઇ દેખરેખ કરવા માટે ઉત્સુક છે. જેને કેબિનેટે પણ વધાવી લઇ જામસાહેબને મંજુરી આપી બ્રિટિશ સરકારે મહારાજાને વ્યવસ્થા કરવા માટે સુચના આપી.

બ્રિટિશ સરકાર, બોમ્બે પોલિશ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયાની દરમિયાનગીરી વચ્ચે પોલિશ ફૌઝના સંયુક્ત પ્રયાસથી બાળકોને ભારતમાં મોકલવામાં આવ્યા. 1942થી ૧૯૪૫ દરમિયાન કુલ ૧૩૭૫ અલગ અલગ જથ્થામાં આવેલ નિ: સહાય બાળકો ભારતમાં આવ્યા. મહારાજા દિગ્વિજય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશરો આપ્યો. મહારાજાએ બાળકોને આશ્વાસન આપ્યું કે, હવેથી તે જ તેમના પિતા છે. મહારાજાએ પોતે કમાયેલ મૂડી માંથી પોતાની જ જમીન આપી ચોક્કસ વ્યવસ્થા ઉભી કરી હતી.

મહારાજા જામસાહેબે પોતાની પર્સનલ મિલકત એવી બાલાચડી ખાતેની જમીન પોલારીસ બાળકોના લાલનપાલન માટે આપી દીધી…અહીં કેમ્પ ઉભો કરી દરેક બાળકોને અલગ અલગ બેડ આપવામાં આવ્યા, ત્યાં ખાવા-પીવાની, કપડા લત્તા અને સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સાથે તેમને રમવા માટે મેદાનની સુવિધા આપવામાં આવી. પોલેન્ડના બાળકો માટે ફૂટબોલ કોચની પણ વ્યવસ્થા કરવામ આવી હતી. આ બાળકોને પોલરીસ વાતાવરણ મળી રહે તે માટે તેમના માટે એક લાઈબ્રેરી બનાવી અને ત્યાં પોલિશ ભાષાના પુસ્તકોનો સમાવેશ કર્યો હતો.. પોલિશ તહેવારો પણ ધૂમધામથી મનાવામાં આવતા. આ બધો ખર્ચ મહારાજાએ ઉઠાવ્યો હતો. તેમણે આના માટે ક્યારેય પોલેન્ડ પાસે ખર્ચો માગ્યો નહોતો.

વર્ષ 1945માં વિશ્વયુદ્ધ ખતમ થવા પર પોલેન્ડના સોવિયત યુનિયને અને પોલેન્ડની સરકારે ભારતમાં રહેતા બાળકોને પાછા લાવવાનું વિચાર્યું. તેમણે મહારાજા સાથે વાત કરી. મહારાજાએ પોલિશ સરકારને કહ્યું કે, આપના બાળકો તમારી અમાનત છે, આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે લઈ જાવ. મહારાજાએ હા પાડી તો બાળકોની વાપસી થઈ. 43 વર્ષ બાદ સન 1989માં પોલેન્ડ સોવિયત સંઘથી અલગ થઈ ગયું.

સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું છે. ત્યાર બાદમાં 2012માં વોરસોના એક પાર્કને પણ જામસાહેબનું નામ અપાયું છે. વર્ષ 2013માં વોરસોમાં ફરીથી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેયર નામ આપવામાં આવ્યું છે. મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાને રાજધાનીના લોકપ્રિય બેડનારસ્કા હાઈ સ્કૂલનના માનદ સંરક્ષક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે.

પોલેન્ડે મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દિ ઓર્ડર ઓફ મેરિટ પણ નવાજયા છે.વર્ષ 2018માં જામનગર ખાતે પોલેન્ડનો સ્વતંત્ર દિવસ ઉજવાયો, પોલેન્ડથી રાજદ્વારી પ્રતિનિધિ મંડળ અહી આવ્યું, સતત બે દિવસ પોલેન્ડની સ્વતંત્ર દિવસના કાર્યક્રમો અહી યોજાયા, જે તે સમયે શરણાર્થી બની આવેલ બાળકો પૈકીના બે વુદ્ધ બની ગયેલ બાળકો એવા વૃધ્ધો પણ જામનગર આવ્યા હતા. પોતાનું બાળપણ અહી વીત્યું હતું. એ તમામ દ્રશ્યો જોઈ તેઓ ભાવુક થઇ ગયા હતા. જે લાઈબ્રેરીમાં એક સમયે તેઓ વાંચતા હતા, તે આજે સૈનિક સ્કૂલમાં પરિવર્તિત થઈ ગઈ છે.

અહીં તેંમની નજર તેમની યાદમાં બનાવેલા સ્તંભ પર પડી અને દરેકની આંખમાંથી આંસૂ વહેવા લાગ્યા હતા. હવે સમય આવ્યો છે આસરા ધર્મ નિભાવવાનો ત્યારે પોલેન્ડે ભારતીયો માટે પોતાના દેશના દ્વાર ખોલી નાખ્યા છે અને જે તે સમયનું ઋણ ચુકવવા આગળ આવ્યા છે.
