જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે એક બંધ મકાનમાં ખાબકેલા તસ્કર રૂા.1 લાખની રોકડની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલપુરનો પરિવાર ફઇના દિકરાના લગ્નમાં ગયા બાદ તસ્કરોને મોકળુ મેદાન મળી ગયાની વિગતો સામે આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે ગઇકાલે બાતબર ચોરીનો એક બનાવ સામે આવ્યો છે જેની વિગત મુજબ તા.27મીના રોજ સવારે સાડાનવેક વાગ્યે બંધ કરીને સિકંદર મહેબુબ હડફા અને તેનો પરિવાર મકાનને તાળા મારી ફઇના દિકરાના લગ્નમાં ગયો હતો. ત્યારબાદ સાંજે પરત ફરતા મકાનમાં ચોરી થઇ હોવાની વિગતો સામે આવી હતી. ધ્રોલ ગામે લગ્ન પુર્ણ કરી પરત ફરેલ પરિવારે મકાનના દરવાજાનું તાળુ તુટેલ નિહાળી અને રૂમ અંદરના કબાટ ખુલ્લા જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસની હાજરીમાં પરિવારે તપાસ કરી ચોરીનો આંક મેળ્યો હતો. અજાણ્યા તસ્કરો ટ્રાન્સપોર્ટની પેઢીની પહોંચ અને રૂા.40700ની રોકડ તેમજ અન્ય એક થેલા રૂા.60000 મળીને રૂા.100700નો મુદામાલ ચોરી કરી ગયાની વિગતો સામે આવી છે જેને લઇને પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.