જામનગર : જામનગર શહેર અને જીલ્લામાં સગીરા અપહરણ-બળાત્કાર પ્રકરણના ત્રણ આરોપીઓને જામનગર કોર્ટે આજે દસ-દસ વર્ષની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. જામનગરના ગુલાબનગર, શંકર ટેકરી વિસ્તાર અને જોડિયા પંથકના ત્રણ બનાવના ત્રણ આરોપીઓને સજા ફટકારી કોર્ટે દાખલો બેસાડ્યો છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની સતર વર્ષીય સગીરાને ગણેશ માનસિંગ કંસારા નામનો સખ્સ અપહરણ કરી વાલીપણામાંથી ઉઠાવી ગયો હતો અને જુદા જુદા સ્થળોએ લઇ જઈ તેણી સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યો હતો.
જયારે વર્ષ ૨૦૧૬માં જામનગરમાં જ શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૫ વર્ષીય પુર્ત્રીને સાગર કરશન સોલંકી નામનો સખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ બાદ આરોપીના પરિવાર જનોએ પણ તેણીના પરિવારજનોને હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે જોડિયા તાલુકા મથકે પણ વર્ષ ૨૦૧૭માં જાંબુડા ગામે હાલ મજુરી કામ કરતા એક પરિવારની સગીર પુત્રીનું રાહુલ ગેલાભાઈ પરમાર નામનો સખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો. અને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું.
આ ત્રણેય બનાવ અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી જેલ હવાલે કરી, ચાર્જસીટ રજુ કર્યું હતું. આ ત્રણેય કેસ ચાલી જતા પોક્સો અદાલતના ન્યાયાધીસ કે આર રબારીએ તમામ પુરાવાઓ અને જુબાનીઓ તેમજ ડોકટરી અભિપ્રાયના આધારે ત્રણેય આરોપીઓને જુદી જુદી ધારાઓમાં કસુરવાર ઠેરવી દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.