જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે વીજ કંપનીમાં નોકરી કરતા એક યુવાને ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું જાહેર થયું છે. મૂળ કેશોદ તાલુકાના મઢડા ગામના યુવાનના ચાર દિવસ બાદ લગ્ન નિર્ધાર્યા હોવાનું જાણવા મળ્યું છે. એસટીમાં ચાલક તરીકે નોકરી કરતા પિતાના એકના એક પુત્રના અવિચારી પગલા બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2022/01/IMG-20220124-WA0054__01.jpg)
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે રામવાડી વિસ્તારમાં રહેતા અને સમાણા ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા કલ્પેશભાઇ દેવાયતભાઇ પીઠીયા ઉ.વ.૨૪ નામના યુવાને ગઈ કાલે પોતાના રૂમ પર કોઇપણ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હરેશભાઇ લખમણભાઇ પીઠીયાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં કોઈ પણ કારણસર યુવાને આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું છે. મૃતકના પિતા પણ એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. એક માત્ર પુત્રના ચાર દિવસ પૂર્વે તો લગ્ન નિર્ધાર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવના પગલે વીજ કર્મચારીઓ અને મઢડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક પાંચ માસ પૂર્વે જ પીજીવિસીએલમાં નોકરીએ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.