જામનગર તાલુકાના જગા તથા મેડી ગામના ચેકડેમો તથા તળાવો નર્મદા નીરથી ભરાતા ગ્રામજનો દ્વારા નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં વરણા, જગા, મેડી, ચાવડા, બાળા, જામવંથલી સહિત આસપાસના ગ્રામજનોએ કૃષિમંત્રીનું અદકેરૂ સન્માન કર્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સિંચાઈ, વીજળી, રસ્તા, પીવાના પાણી સહિતના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે અને આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના સિંચાઈ સહિતના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે સૌની યોજના હેઠળ નર્મદા નીર સરકારે ગામે ગામ પહોંચતા કર્યા છે.દરિયામાં વહી જતું વરસાદી પાણી આજે રાજ્યમાં ખૂણે ખૂણે પહોંચતા જમીનમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને ગામો નંદનવન બન્યા છે.

રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂત, ખેતી તથા ગામડાના પ્રશ્નો નિવારવા સક્ષમતાથી આગળ વધી રહી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક બમણી કરવાની નેમને સાકાર કરવા ધ્રોલ, જોડિયા, કાલાવડ તાલુકાના ૪૫૦ કરોડના કામો સરકારે એક જ વર્ષમાં મંજૂર કરી સમગ્ર વિસ્તાર માટે વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.