જામનગર : દર્દીને દાખલ પરત ફરતા સંબંધી અને તેના મિત્રના અકસ્માતમાં મોત, આવો છે બનાવ

0
966

જામનગર : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ નજીક ટંકારા રોડ પર લતીપર ગામથી આગળ પૂર ઝડપે દોડતી એક કાર પુલ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યકિતઓના મૃત્યું નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લાના બે ભાઇઓ સહિતના વ્યકિતઓ જામનગર તરફ આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. મૃતકના સંબંધીને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાવી આ બન્ને હતભાગીયો પરત બનાસકાંઠા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાનું જાહેર થયું છે.

આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ ગામ નજીક લતીપર તરફના રોડ પર ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે જી.જે.8 બી.એસ.5805 નંબરની પૂર ઝડપે દોડતી કાર લતીપર ગામથી આગળના રોડ પરના પુલ સાથે જોરદાર અથડાઇ હતી. જેમા કારમાં સવાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના ચમનભાઇ કાનજીભાઇ પરમાર અને ચાલક અબાસભાઇ ઉર્ફે હમીદભાઇ પીર મહમદભાઇ શેખ (ઉ.વ.27) રહે.થરાદ જિ.બનાસકાંઠાને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના મૃત્યું નિપજ્યા છે. આ બનાવ અંગે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરેલા સંબંધી સાથે  રહેલા દિલીપભાઇ પરમારને જાણ થતા તેઓ ધ્રોલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જયાં ધ્રોલ પોલીસ સમક્ષ આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવી હતી.  બે દિવસ પૂર્વે બનાસકાંઠાથી એમ્બ્યુલન્સ અને એક કાર સાથે દર્દીને લઇને જામનગરની જી.જી.હોસ્પિટલ આવ્યા હતા જયાં દર્દીને દાખલ કર્યા બાદ બને હતભાગીયો ગઇકાલે સવારે કાર લઇ પરત જવા નીકળ્યા હતા. જો કે વતન પહોંચે તે પૂર્વે જ અર્ધ રસ્તે બન્ને અકસ્માતરૂપી કાળનો કોળીયો બની ગયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here