જામનગર : ગત શનિવારે મુખ્ય મંત્રી સહિતના સચિવોની જામનગરની મુલાકાત વખતે જ ફરજ પર રહેલ એક પોલીસકર્મીને એકાએક ચક્કર આવતા મૃત્યુ નીપજ્યું છે. નિવૃત્તિને આરે આવી ઉભેલ પોલીસકર્મીના મૃત્યુના પગલે શોકનું મોજું પ્રસરી ગયું છે. પોલીસ દ્વારા મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

જામનગરમાં ગુલાબનગરના નારાયણનગરમાં રહેતા અને મહિલા પોલીસ સ્ટેશનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સવજીભાઇ દેવાભાઇ ખીમાણીયા(ઉ.વ.૫૮) ને ચાલુ ફરજે ચકકર આવતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતાં. ગત શનિવારના રોજ કોરોનાની ગંભીર સ્થિતિને લઇને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સચિવોની ટીમ જામનગરની મુલાકાતે આવ્યા હતા. એક તરફ કલેકટર કચેરીએ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે મીટીંગ કરી રહ્યા હતા ત્યારે બહાર બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મીનું એકાએક મૃત્યુ થતા શોકનું મોજુ પ્રસરી ગયુ હતું. પોલીસે મૃત્કને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સલામી આપી હતી. નિવૃત થવાની ઉમરે જ પોલીસ જવાનનું મૃત્યુ નીપજતા પરિવાર સહિત તેના સહકર્મીઓમાં પણ શોક છવાયો હતો.