જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના વિભાપર ગામે ગઇકાલે પત્ની સહિતના શખ્સોએ એક યુવાનને માર મારી છરી વડે ગંભીર ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. ભોગગ્રસ્ત યુવાને પત્નીને છોડીને લીવ-ઇન રીલેશનશીપ રાખતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે.

જામનગર તાલુકાના વિભાપર ગામે રહેતા અને કડિયા કામ કરતા છગન કાનજીભાઇ માંડવીયા નામના યુવાન પર તેના પત્ની ગીતાબેન માંડવીયા, મુકેશ ધવલ કોળી અને ધવલ કોળી નામના શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપી મુકેશે છરી વડે હુમલો કરી માથા તથા જમણા પગના સાથળના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી ત્યારે અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં છગનભાઇ છેલ્લા દોઢ મહિનાથી પોતાની પત્નીને છોડીને ખીમરાણા ગામે મૈત્રી કરારથી રહેતા હોય જેનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.