જામનગર: વિભાપરમાં દેવતાઓની સેવાર્થે ફટાકડા સ્ટોલનું ભવ્ય આયોજન

0
253

વિભાપર ગામમાં કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ ની ગૌશાળા ના લાભાર્થે દિવાળીના તહેવાર દરમિયાન રાહત દરે ફટાકડા નું વેચાણ શરૂ કરાયું

સમગ્ર વિભાપર ગામ ના ઉદ્યોગકારો- ખેડૂતો- સહિતના ૨૫૦ થી વધુ કાર્યકરો ગાયો માટેના સેવાયજ્ઞમાં ઉત્સાહ ભેર પ્રતિ વર્ષ ની જેમ આ વખતે પણ જોડાયા

જામનગર: ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું ની ઉપમા આપવામાં આવી છે, એટલે કે ગૌમાતા ના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગાયમાં ૩૩ કોટી દેવતાઓનો નિવાસ ની માન્યતા પણ પ્રચલિત છે, ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી અને ગૌવંશની સેવાનું માધ્યમ બનાવી દેવાની અનોખી અને પ્રેરક પરંપરા જામનગર નજીક આવેલા વિભાપર ગામમાં જોવા મળી રહી છે.
કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત ગાયોની ગૌશાળા નો માસિક ખર્ચ નિભાવ કે જેને પહોંચી વળવા માટે ટ્રસ્ટની કમિટીના આગેવાનો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવે છે, ઉપરાંત પ્રતિવર્ષ દિવાળી ના તહેવાર દરમિયાન વિભાપર ગામ માં રાહત દરે ફટાકડાના વેચાણનું મોટા પાયે સેલ ગોઠવવામાં આવે છે.


જે ને અનુલક્ષીને આ વર્ષે સતત આઠમા વર્ષે પણ આ પરંપરા આગળ વધારવામાં આવી છે. વિભાપર ગામ માં આવેલી લેઉવા પટેલ સમાજ ની વાડી ના પટાંગણમાં દરેક પ્રકારના ફટાકડા ના વિશાળ સેલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને માત્ર છ રૂપિયાથી માંડીને ૧૫,૦૦૦ રૂપિયા ની કિંમતના પ્રતિ નંગ લેખે લગભગ ૨૭૫ થી વધુ વેરાયટી ના ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ ઉપરાંત એચ. જે.લાલ ટ્રસ્ટના શ્રી મિતેશભાઇ લાલ કે જેઓ ઘણા વર્ષોથી વિભાપર ની ગૌશાળા ની પ્રવૃત્તિ થી પ્રભાવિત છે, તેમજ વિભાપર લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ મૂળજીભાઈ પણસારા તથા ટ્રસ્ટી મંડળ ના વિનુભાઈ દોમડીયા, તથા કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ મોલિયા તથા ગામના અનેક નાના મોટા કાર્યકર્તા તથા જામનગર ના પ્રિન્ટ મીડિયા ના શ્રી સંજયભાઈ જાની તથા જી.ટી.પી.એલ. ન્યૂઝ ના જયેશભાઈ રૂપારેલિયા તથા લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ કાનાણી, ભરતભાઈ ઢોલરીયા તથા હેમતભાઈ દોમડીયા વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ અનોખા સેવાયજ્ઞ નું ઉદ્ઘાટન શુક્રવાર ને તા. ૩૧૧૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું, અને ૧૨ નવેમ્બર સુધી ચાલનારા આ સેલમાં રાત્રિ સુધી ગૌશાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે સેલ મા ફટાકડા નું તદ્દન રાહતદરે વેચાણ થાય છે.
સેલમાં દરેક પ્રકારના ફટાકડા ના પેકીંગ ઉપર તેની કિંમત અંકિત હોવાથી ગ્રાહકોને ભાવતાલ કરવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી, અને સ્વયં શિસ્ત ના માપદંડથી સુચારુ રૂપે લોકો સેવાના ભાવથી આ સેવાયજ્ઞમાં જોડાઈને ફટાકડા ની ખરીદી કરે છે.


દર વર્ષે જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ રિલાયન્સ તથા એસ્સાર જેવી કોર્પોરેટ કંપનીઓની ટાઉશિપમાં રહેતા કર્મચારીઓ મળી ને આ ફટાકડાના સેલમાં અંદાજે રોજ ના પાંચ હજારથી વધુ લોકો આવીને ફટાકડા ની ખરીદી કરે છે, અને આ સેવાયજ્ઞમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહભાગી બને છે.
આર્થિક રીતે સમૃદ્ધ એવા ટ્રસ્ટના હોદ્દેદારો પણ શ્રમિક જેવી સેવા આપે છે. ઉપરાંત ગ્રાહકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે જ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર આયોજન સત્કાર- લાભ અને સેવાનો ત્રિવેણી સંગમ પણ બની રહે છે.
સેલ માં કુલ ૨૦ બિલીંગ કાઉન્ટર કાર્યરત કરાયા છે, જેમાં ૨૦૦ થી વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર પ્રક્રિયા સંભાળે છે.
ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલ ના આયોજન માટે ગૌશાળા ના ટ્રસ્ટી અને વ્યવસ્થાપક એવા ઉપરાંત આ ભગીરથ કાર્ય ના પ્રણેતા અને આ કાર્ય ના મુખ્ય સંચાલક એવા નવનીતભાઈ પણસારા(ગોલ્ડસ્ટાર બેટરીવાળા), સંજય ભાઈ પણસારા, વિનુભાઇ દોમડીયા, પ્રવીણભાઈ મોલીયા, નીતિનભાઈ દોમડીયા, રશ્મિનભાઈ પણસારા અને ભરતભાઇ મોલિયા સહિતના સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. અને જે ટિમ દ્વારા જ સમગ્ર ખરીદ અને વેચાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અને તેઓની રાહબરી હેઠળ વિભાપર ગામ ના અગ્રણી ઉદ્યોગપતિઓ, કારખાનેદારો, ખેડૂતો, સહિતના સેવાભાવી અગ્રણી અને વિભાપર ગામના તરવરિયા યુવાન સહિત ૨૫૦ જેટલા કાર્યકરોની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે.
કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ફટાકડાના મહા સેલમાં જામનગર શહેર અને આસપાસની જનતાને હાજર રહી આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here