જામનગર જિલામાં છેલ્લા એક-દોઢ માસથી સમયાંતરે ભૂકંપના આંચકાઓ આંચકા આપી રહ્યા છે. ગઈ કાલે બપોર બાદથી સાડા બાર કલાકના ગાળામાં વધુ આઠ આંચકા આવતા ભયનું લખલખું યથાવત રહ્યું છે.

જામનગર જીલ્લાના ભૂકંપના સતત આચકાઓ અનુભવાઈ રહ્યા છે. છેલ્લા દોઢ માસથી શરુ થયેલ સિલસિલો વર્તમાન સમય સુધી યથાવત રહેતા ભય ફેલાયો છે. ખાસ કરીને કાલાવડ અને જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ભયનું લખલખું સવાર થયું છે. એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપને લઈને ગ્રામજનોમાં ભય બેવડાયો છે.

ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાથી ચાર કલાકના ગાળામાં પાંચ આચકા આવ્યા હતા. જેમાં બપોરે ત્રણ વાગ્યે ૧.૭, ૩:૪૪ વાગ્યે ૨.૩, ૬:૨૬ વાગ્યે ૨.૭, ૬:૪૫ વાગ્યે ૧.૯ અને ૬:૪૬ વાગ્યે ૨.૪ની તીવ્રતાના અચકાઓ નોંધાયા હતા. આ તમામ આંચકોનું કેન્દ્રબિંદુ જામનગર અને કાલાવડ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું. આ જ સિલસિલો મોડી રાત્રે પણ ચાલુ રહ્યો હતો. જેમાં રાત્રે બે કલાકે ૧.૯, ૨:૨૦ વાગ્યે ૧.૯ અને ૩:૩૭ વાગ્યે ૧.૮ની તીવ્રતાનો આચકો નોંધાયો હતો. આમ સાડા બાર કલાકમાં આઠ આંચકા અનુભવાતા ભય બેવડાયો છે. જામનગરના સુમરી ગામે તો મકાનોને નુકસાની પહોચી હોવાના પણ અહેવાલ છે.