જામનગર અપડેટ્સ : જામનગર નજીક કાલાવડ રોડ પર આવેલ મોડપર ગામના પાટિયા પાસે ગઈ કાલે સાંજે પુર ઝડપે દોડતી એસટી બસની ઠોકરે ચડેલા એક મોટરસાયકલ ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. પંચકોસી એ ડીવીજન પોલીસે એસટી ચાલક સામે ફરિયાદ નોંધી અટકાયત કરવા તજવીજ શરુ કરી છે. યુવાનના મૃત્યુના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જીલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેની વિગત મુજબ જામનગર-કાલાવડ વચ્ચે આવેલ મોડપર ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપની સામે ગઈ કાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે પુર ઝડપે પસાર થતી જીજે ૧૮ ઝેડ ૬૬૩૮ નંબરની એસટી બસે જીજે ૧૦ એન ૨૨૫૭ નમ્બરના મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો જેમાં ગુલાબભાઈ ધરમશીભાઈ વાઘેલા ઉવ ૨૩ નામના ચાલક બાઈક પરથી ફંગોળાઈ જતા પહોચેલી ગંભીર ઈજાના કારણે તેમનુ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના મામાના દીકરાએ એસટી બસના ચાલક સામે પંચકોશી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.