દ્વારકામાં વકીલાત નો વ્યવસાય કરતા અને જામનગરમાં રહેતા વકીલના ઘરમાંથી 22 લાખની રોકડ અને 12 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના સહિત ₹34 લાખ ઉપરાંતની મતાની ચોરી થવા પામી છે. તારીખ 19 મીના રોજ રાજકોટ, પાલીતાણા અને સુરેન્દ્રનગરના જુદા જુદા પ્રસંગે હાજરી આપવા ગયેલા વકીલના પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરોએ માતબર ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે.
શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને દ્વારકામાં વકીલાતનો વ્યવસાય કરતા રાજેશભાઈ શેઠ અને તેમના પત્ની, પુત્ર અને પુત્રી સાથે તેઓ ગત તારીખ 19 મીના રોજ જામનગર થી રાજકોટ ખાતે સંબંધીને ત્યાં યોજાયેલ સગાઈ પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તારીખ 20 મીના રોજ રાજકોટથી સાંજે પાંચેક વાગ્યે દેવદર્શન માટે પાલીતાણા ગયા હતા. પાલીતાણાથી તારીખ 21 મીના રોજ સાંજે સુરેન્દ્રનગરમાં તેઓના બહેનના મકાનના વાસ્તા પ્રસંગમાં રોકાયા હતા. દરમિયાન તારીખ 23મી ના રોજ સવારે તેના મિત્ર કમલેશભાઈ શાહનો તેમના પર ઘરના દરવાજા ખુલ્લા હોવા અંગેનો ફોન આવતા તેઓ પરિવાર સાથે પરત જામનગર આવ્યા હતા.
તારીખ 19 થી તારીખ 23મી સુધીના પાંચ દિવસના ગાળા દરમિયાન બંધ રહેલા મકાનમાં ખાબકેલ તસ્કરોએ રૂપિયા ૩૪ લાખ પંદર હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.
જેમાં રૂપિયા સવા બે લાખની કિંમતના સાડા સાત તોલા વજનના સોનાના ચાર નંગ પાટલા, રૂપિયા 1,80000ની કિંમતની છ તોલા વજનની સોનાની ચાર નંગ બંગડી, તેમજ એક લાખ 5 હજારની કિંમતનો સાડા ત્રણ તોલા વજનનો સોનાનો મોટો સેટ- જેમાં હાર બુટ્ટી વીટી નો સમાવેશ થાય છે તે તેમજ રૂપિયા 1,20,000ની કિંમતના ચાર તોલા વજનનો બુટ્ટી વીંટી સાથેનો પાંચ શેર વાળો સોનાનો હાર, રૂપિયા 90,000ની કિંમતના ત્રણ તોલા વજનના ગળામાં પહેરવાનો દિલ આકારનો સોનાનો સેટ, બુટી,વીટી, આ ઉપરાંત વજનની રૂપિયા 60,000ની કિંમતનું હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ, તેમજ 75 હજાર રૂપિયાની કિંમતનો ગળામાં પહેરવાનો અઢી તોલા વજનનો સોનાનો પેડલવાળો સેટ જેમાં ચેન વીંટી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૦ હજારની કિંમતનો બે તોલા વજનનો ગળામાં પહેરવાનો સોનાનો નવો સેટ તેમજ રૂપિયા 60,000ની કિંમત ના બે તોલા વજનની સોનાની આઠ નંગ બુટી આ ઉપરાંત રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનના સોનાના ચેન અને રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનની સોનાની બે વીંટી તેમજ રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની ચાર તોલા વજનની સોનાની લકી, દોઢ તોલા વજનની સોનાની રૂપિયા 45000ની બે નંગ વીંટી, તેમજ ચાંદીના 10 સિક્કા, ચાંદીની એક લકી ચાંદીના પટાવાળી 150 ગ્રામ વજનની એક ઘડિયાળ તેમજ આઠ સાદી ઘડિયાળ ઉપરાંત 4000ની કિંમતનો એક મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલ રૂપિયા 22 લાખની રોકડ પણ ચોર ચોરી કરી ગયા હતા.
પ્રથમ લોખંડની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો પણ ફાવટ ન આવી પરંતુ પછી બન્યું એવું કે..
વકીલ પરિવારના બંગલામાં લાકડાના કબાટમાં લોખંડની તિજોરી મુકાવી છે આ તિજોરીમાં રોકડ સહિતના સમગ્ર મુદ્દા માલ પડ્યો હતો તસ્કરોએ પ્રથમ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાવટ આવી ન હતી પરંતુ ત્યારબાદ કબાટના કપડા વેરવિખેર કરતા તેમાંથી ચાવી મળી આવી હતી આ ચાવી વડે તેઓએ કબાટ ની તિજોરી ખોલી અંદરથી મુદ્દામાલ ચોરી કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે