જામનગર : લાલપુર તાલુકાના ઝાખર ગામે એક પરિવારે વૃદ્ધને આંતરી લઇ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી છે. આ પરિવારના જમાઈ એવા વૃદ્ધના પુત્રના નામે વૃદ્ધ જમીન કરી આપે એવી માંગણી કરી માર માર્યો હોવાનું જાહેર થયું છે. હુમલા બાદ ઘટના સ્થળે આવેલ પુત્રએ પણ જમીન પોતાના નામે કરી દેવા ધમકાવ્યા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર જીલ્લાના ઝાંખર ગામે એક વૃદ્ધ પર પરિવારે હુમલો કરી માર મારી ઈજા પહોચાડી હોવાની મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. એક આરોપીના ગુજરાન ચલાવવા માટે વૃદ્ધે આપેલ જમીન નામે કરી દેવાની માંગણી કરી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લાલપુર તાલુકાના ઝાંખર ગામેં રહેતા દોલુભા ખાનજી જાડેજા નામના વૃદ્ધ પર નરેંદ્રસિંહ ભીખુભા ચુડાસમા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા, વજુબા ભીખુભા ચુડાસમા અને કુસુમબા ભાવેશસિંહ જાડેજા નામના સખ્સોએ ગઈ કાલે લાકડા ધોકા વડે હુમલો કરી શરીરે આડેધડ માર મારી જમણી આખની બાજુમા તેમજ જમણી બાજુ માથામા ખોપડીમા ફેક્ચર કરી ઇજા કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ વૃદ્ધએ પોતાના પુત્ર ભાવેશસિંહ સહિતના આરોપીઓ સામે મેઘપર પોલીસમાં આઈપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪, તથા જી.પી એક્ટ-૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી પુત્ર ભાવેશસિંહને ખટિયા ગામે આવેલ ૨૦ વીઘા ખેતીની જમીન ગુજરાન ચલાવવા માટે આપી હતી. આ જમીન પોતાના જમાઈને નામે કરી દેવા આરોપી પરિવારે હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મારામારી બાદ સ્થળ પર પહોચેલ પુત્ર ભાવેશસિંહે પણ પિતાને જમીન પોતાના નામે ચડાવી દેવા ધમકી આપી હોવાનો આરોપ પિતાએ ફરિયાદમાં લગાવ્યો છે. આ બનાવ અંગે મેઘપર પોલીસના એએસઆઈ કરંગીયાએ તપાસ હાથ ધરી છે.