જામનગરના જાણીતા બિઝનેસમેન જીતુભાઇ લાલ સહિત તેમના પરિવારના ત્રણ સભ્યો જયપુરથી ગઇકાલે પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત નોંધાયા છે. આથી તેમના મોટાભાઇના બે પુત્રોના તા.11 ડીસેમ્બરે આગ્રા ખાતે યોજાયેલ લગ્ન સમારંભ મોકુફ રાખવામાં આવ્યો છે. તેમની સાથે લગ્ન પ્રસંગમાં જયપુર ગયેલા લોકોને તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવા અને આરોગ્ય તંત્રને જાહેર હિતમાં અનુરોધ કર્યો છે.

જામનગરના જાણિતા બિઝનેસમેન, સામાજીક અને રાજકીય આગેવાન અશોકભાઇ લાલ અને જીતુભાઇ લાલને ત્યાં પુત્રના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. તાજેતરમાં જયપુર ખાતે પુત્ર ક્રિષ્નરાજ લાલનો લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન સમારંભ કોવિડ ગાઇડલાઇનની મર્યાદામાં અને ચુસ્ત પાલન સાથે મર્યાદિત લોકોની હાજરીમાં યોજાયો હતો. આ લગ્ન સમારંભમાં કુટુંબીઓ, સગા-વ્હાલા અને તેમની સાથે વર્ષોથી અંગત રીતે જોડાયેલા મિત્રોને જ આમંત્રિત કરાયા હતાં.
જ્યાં લગ્ન યોજાયેલ તે પેલેસમાં કેટલાંક વિદેશથી આવેલ મુસાફરો ઉતર્યા હતાં. જ્યાં લગ્ન યોજાયેલ તે પેલેસમાં કેટલાંક વિદેશથી આવેલ મુસાફરો ઉતર્યા હતાં. આ લગ્ન સમારોહ સંપન્ન થયા બાદ જામનગર પરત ફરેલા કુટુંબીજનો અને લગ્નમાં જોડાયેલ અન્ય લોકોને આજે એક અપીલ કરી છે. ઓડિયો ક્લીપ દ્વારા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીતુભાઇ લાલે અપીલ કરી છે કે પોતાના સહિત પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે અને સેલ્ફ ક્વોરેન્ટાઇન છે. હાલ જામનગરમાં કોરોનાનું સંક્રમણ ફરી શરૂ થયું છે ત્યારે તંત્રને મદદરૂપ થવું જરૂરી છે. આથી લગ્ન પ્રસંગે હાજર રહેલ તમામ લોકો જાહેર હિતમાં તેમજ તેમની પોતાની સલામતી માટે વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવી લે તેવી અપીલ કરી છે.
શ્રીજી ગ્રુપ ઓફ કંપનીના મુખ્ય સંચાલક અને તેમના મોટાભાઇ અશોકભાઇ લાલના બે પુત્ર મિતેશ અને વિરાજના લગ્નનો સમારોહ તા.11ના રોજ આગ્રા ખાતે યોજાનાર હતો તે પણ મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું પણ જીતુભાઇએ જાહેર કર્યું છે.
એક વર્ષ પૂર્વે પણ થયા હતા સંક્રમિત
જીતુભાઇ લાલ એક વર્ષ પહેલાં પણ સંક્રમિત થયા હતાં. લાલ પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત થયાના સમાચારને પગલે તેમના વિશાળ શુભચિંતક વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે જીતુભાઇ સહિત ત્રણેયની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
લગ્નમાં ગયેલ લોકોની કોરોના ટેસ્ટ માટે દોડધામ શરૂ
જયપુર ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સહભાગી થવા ગયેલા જામનગરના અનેક લોકોએ જીતુભાઇ લાલની અપીલને પગલે કોરોના ટેસ્ટ કરાવવા ખાનગી લેબોરેટરીઓ તરફ દોડધામ શરૂ કરી હોવાનું અને 20 થી વધુ લોકોએ ટેસ્ટીંગ કરાવી લીધા હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટીંગનો આંક હજુ વધશે તેમ જાણકારોનું કહેવું છે.