જામનગર : જામનગર નજીકના કાના છીકારી ગામે સીમ વિસ્તારમાં ઝેરી દવા પી શ્રમિક પરિવારની એક યુવતીએ આપઘાત કરી લીધો છે. હોળીનો તહેવાર કરવા વતનમાં જવાનું હતું પરંતુ માતા-પિતા પાસે પૈસા ન હોવાથી તેણીને લાગી આવ્યું હતુંને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં જિલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ લાલપુર તાલુકાના કાના છીકારી ગામે છેક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાથી મજૂરી કામ કરવા આવેલા શ્રમિક પરિવારની મમતાબેન જેતાભાઇ વેસ્તાભાઇ ચૌહાણ (ઉ.વ.18)નામની યુવતી ગત તા.20મી ના રોજ બપોરે બે વાગ્યા ના સુમારે કકર સીમ વિસ્તારમાં બાવળની ઝાળીઓમાં જઇ ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા જેતાભાઇ ચૌહાણે જાણ કરતા મેઘપર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. આ બનાવ અંગે પિતાએ કરેલા નિવેદન મુજબ તેણીને હોળીનો તહેવાર કરવા વતન મધ્યપ્રદેશ જવાનું હતુ પરંતુ પોતાની પાસે પૈસાની સગવડ ન થતા તેણી વતન નહી જઇ શકે તેમ લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.