જામનગર જીલ્લા સહકારી બેંક ફરી ચર્ચામાં આવી છે. ફરી એ જ વાત, એ જ વિષયને લઈને વિવાદ સર્જાયો છે. નવી બોડી દ્વારા કરવામાં આવેલ તપાસમાં જામનગર અને જામજોધપુર બ્રાંચના છ કર્મચારીઓએ કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડ કર્યા હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને બેંક સતાધીશોએ બ્રાંચ મેનેજર સહિતના છ કર્ચારીઓએને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. જો કે જામજોધપુર બ્રાંચના કર્મચારીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે જે તપાસ પૂર્ણ થયા બાદ આકરા પગલા ભરવામાં આવશે એમ જાણવા મળ્યું છે બીજી તરફ મોટા આર્થિક કૌભાંડ છતાં પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં નહી આવતા આશ્ચર્ય સર્જાયું છે.

જામનગરમાં જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલ આર્થિક કૌભાંડ ઉજાગર થયું છે. તાજેતરમાં નવી બોડીએ સતા સંભાળ્યા બાદ જીલ્લાની તમામ શાખાઓમાં ઓડીટ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર અને જામજોધપુરની બ્રાંચમાં આર્થિક વિસંગતતાઓ સામે આવી હતી. બંને બ્રાંચમાં આવક-જાવકનો હિશાબ ન મળતા કર્મચારીઓએ આર્થિક કૌભાંડ આચર્યું હોવાની શંકા નવી બોડીએ ગઈ હતી જેના લઈને ખાતાકીય તપાસ કરાવવામાં આવી હતી. આ બંને શાખાઓ કરવામાં આવેલ તપાસ બાદ કર્મચારીઓ દ્વારા આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

બંને બ્રાંચમાં કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું ઉજાગર થયું છે. જેમાં બ્રાંચ મેનેજર, કલાર્ક અને એક પટાવાળા કક્ષાના એક કર્મચારીનો સમાવેશ થાય છે. આ કૌભાંડ સામે આવતા જ છ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે જામજોધપુર બ્રાંચના પાંચ કર્મચારીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે. જે તપાસ પૂર્ણ થતા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એમ મુખ્ય બ્રાંચના ઇન્ચાર્જ મેનેજર રોલાએ જણાવ્યું છે. જો કે સસ્પેન્ડ કરી દેવાયેલ કર્મચારીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં ન આવતા પણ આશ્ચર્ય ફેલાયું છે.