જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક એએસઆઈને એસીબીએ માત્ર રૂપિયા ૬૦૦ની લાંચની માંગણી કરી હોવાની સ્પષ્ટતા થઇ જતા આજે એસીબીએ જમાદારની અટકાયત કરી છે. ટ્રાફિક જમાદારે ફરિયાદીની ટ્રક નહી રોકવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૭માં જમાદારે ઉપરોક્ત રકમની ડીમાંડ કરી હોવાનું સ્પસ્ટ થતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ નામના એએસઆઈને એસીબી પોલીસે રૂપિયા ૬૦૦ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે. પોતાના ટ્રક જો ધોરીમાર્ગ પર ચલાવવા હોય તો હપ્તા આપવા પડશે એમ અન્ય ટ્રક માલિકોને કહી જમાદારે પ્રતિ ટ્રક રૂપિયા ૩૦૦ આપવા પડશે એવી તા. ૧૭/૨/૨૦૧૭ના રોજ માંગણી કરી ધમકી આપી હતી. જેને લઈને એક ટ્રક માલિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ કેસ સંદર્ભે પોરબંદર એસીબીની ટીમે જમાદાર સામે આજે ફરિયાદ નોંધી કોવીડ ટેસ્ટ કરાવવા તજવીજ શરુ કરી છે. ડીમાંડ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ અટકાયતને લઈને દ્વારકા પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કોવીડ રીપોર્ટ બાદ જમાદારની વિધિવત ધરપકડ કરવામાં આવશે.