જામનગર : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે છેલ્લા ત્રણ દીવસથી મૃત્યુ દર યથાવત રહ્યો છે. અને ૬૬ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ થયા છે. જોકે કોરોના ના કેસ મામલે આજે ત્રિજા દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૩૨૩ અને ગ્રામ્યના ૨૨૨ સહિત ૫૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૧૪ અને ગ્રામ્યના ૨૮૪ મળી એકીસાથે ૫૯૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ ઘણી રાહત જોવા મળી છે. આ રાહત કૃત્રિમ છે કે વાસ્તવિક ? તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

ઓછા ટેસ્ટીંગની સામે ઘટેલા દર્દીઓના પ્રમાણ વચ્ચે વાસ્તવિકતા શું છે એ પ્રજા જાણવા ઈચ્છુક છે. જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા થોડી બ્રેક લાગી છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુનો દર ૬૫થી ૭૦નો યથાવત રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૬૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૭૨૬ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૨૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૮,૮૨૫ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૦,૪૪૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૦,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૦,૪૮૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૭૨૬ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૧૪ અને ગ્રામ્યના ૨૮૪ મળી ૫૯૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. બીજી તરફ દરરોજના આકડા તપાસતા સ્પષ્ટ થાય છે કે જયારે જયારે ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે ત્યારે ત્યારે કેશની સંખ્યા પણ વધી છે અને જયારે જયારે ટેસ્ટીંગનું પ્રમાણ ઘટ્યું છે ત્યારથી નવા દર્દીઓના પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શું તંત્રએ ટેસ્ટીંગનું પ્રમાણ જાણી જોઇને ઘટાડી દીધું છે કે પછી કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓમાં જ ઓટ આવી છે ? આ પ્રશ્નનો જવાબ તો જે તે ટેસ્ટીંગ સેન્ટર પરની રીયાલીટી ચેક કરતા જ મળી શકે. બાકી છેલ્લા ત્રણ દિવસથી દર્દીઓના પ્રમાણ અને મૃત્યાંક વચ્ચે જે ઘટ જોવા મળી રહી છે તે સકારાત્મક ગણી નવી આશાનું કિરણ ગણીએ.