જામનગર : જામનગરના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા સાત મિત્રો ગઈ કાલે બાલાચડી ફરવા જતા હતા ત્યારે ચાર પૈકી એક બાઈક અકસ્માતગ્રસ્ત બનતા એક મિત્રનું મૃત્યુ નીપજ્યું છે, જેને લઈને પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગરના સાત મિત્રોએ શનિવાર હોવાથી શહેર આસપાસ ફરવા જવાનો કાર્યક્રમ કર્યો હતો. બધાય મિત્રોએ બાલાચડીના દરિયે ફરવા જવાનું નક્કી કર્યું, સાત મિત્રો ચાર બાઈક લઇ જામનગરથી બાલાચડી તરફા રવાના થયા હતા. દરમિયાન આ ચારેય બાઈક રાજકોટ ધોરીમાર્ગ છોડી જોડિયા રોડ તરફ વળી આગળ વધ્યા ત્યાં બાલાચડી માર્ગ પર ચાર પૈકીનું એક બાઈક સ્લીપ થઇ ગયું હતું. જેમાં ચાલક સાગર રવજીભાઈ ગુજરિયા ઉવ ૧૭નું બાઈક રોડ નીચે ઉતરી બાવળની જાળીઓ ઘુસી ગયું હતું. જેમાં સાગરને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતું જયારે તેની પાછળ બેઠેલ વિજય મધુભાઈ સીયારને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે અન્ય મિત્રોમાં અને પરીવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.