જામનગર : જામનગરમાં કોરોનાના નવા વેરીયંટ ઓમીક્રોનનો કેસ સામે આવ્યા બાદ આજે વધુ બે દર્દીઓ શંકાસ્પદ જાહેર થતા હડકંપ મચી ગયો છે. ચિંતાની વાત એ છે કે બંને દર્દીઓ ગઈ કાલે સામે આવેલ ઝીમ્બાબ્વેના દર્દીના પત્ની અને તેનો સાળો જ છે. એટલે કે બેન-ભાઈ બંને પોજીટીવ જાહેર થતા જ જીજી હોસ્પિટલ પ્રસાસને બંનેને ઓમીક્રોનના સસ્પેકટેડ દર્દી જાહેર કરી નમૂનાઓ ગાંધીનગર લેબમાં મોકલી આપ્યા છે અને બંનેને કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કર્યા છે. આ બંન્ને દર્દીઓ ઓમીકરોન જાહેર થાય તો શહેરમાં ચિંતા બેવડાઈ શકે છે.

શહેરના મોરકંડા રોડ પર પોતાના સસરાના ઘરે આવેલ ઝીમ્બાબ્વેના વૃદ્ધ સલીમ નુરમામદ ઉવ ૭૨ નામના વૃદ્ધ ગઈ કાલે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનગ્રસ્ત હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈને મોરકંડા રોડ પર આવેલ સેટેલાઈટ સીટી સોસાયટીની એક શેરીને સંપૂર્ણ કન્ટેઈન્મેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો હતો. દરમીયાન આજે જે તે દર્દીના સસરાના ઘરના પરિવારજનોના ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધના પત્ની અને તેના સાળાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જેને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. કારણ કે જે દર્દી પોજીટીવ આવ્યા છે તે દર્દીના પત્ની અને અમદાવાદ સુધી કાર લઇ પીકઅપ કરી જામનગર સુધી સાથે રહેલ સાળો છે. તેથી આ બંનેના નમુના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ બંને નવા વેરિયન્ટ ગ્રસ્ત હોવાના ચાન્સ વધુ છે એમ આરોગ્ય તંત્ર માની રહ્યું છે. કારણ કે પોજીટીવ જાહેર થયેલ બંને દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણ સામે આવ્યા નથી.