જામનગર અપડેટ્સ, જામનગર:
શહેરમાં મીગ કોલોની પાસે, જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષે લાકડાના ધોકા અને લોખંડના સળિયા વડે હુમલો કરી એકબીજાને લોહીલુહાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સિટી ‘એ’ ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષનો આરોપ: રાખડી બાંધવા ન આવવા બાબતે પૂછતાં હુમલો કર્યો
પ્રથમ પક્ષ તરફથી વિપુલભાઈ સામાભાઈ વાઘેલા (ઉ.વ. ૨૪) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૨૯/૦૮/૨૦૨૬ના સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે તેમના પિતા સામાભાઈ પડોશમાં રહેતા ભરતભાઈ તખુભાઈ વાઘેલાને ‘ગુરુ રાખડી બાંધવા ઘરે કેમ ન આવ્યા’ તે બાબતે વાતચીત કરી રહ્યા હતા. આ સાંભળી ભરતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ભાવુભાઈ તખુભાઈ વાઘેલા લાકડાનો ધોકો લઈ આવી માર મારવા લાગ્યા હતા. જ્યારે ભરતભાઈએ લોખંડનો સળિયો લાવી સામાભાઈના માથામાં ફટકારી દેતાં પાંચેક ટાંકા આવે તેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ભરત તખુભાઈ વાઘેલા અને ભાવુ તખુભાઈ વાઘેલા વિરુદ્ધ BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો (ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૬૧૬૮૨/૨૦૨૬) નોંધી એ.એસ.આઈ. એમ. એમ. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

સામા પક્ષનો આરોપ: ‘બાજુના ઝૂંપડામાં ન રહે’ કહી હુમલો કરી માથું ફોડી નાખ્યું
સામે પક્ષે ભરતભાઈ તખુભાઈ વાઘેલા (ઉ.વ. ૨૫) એ નોંધાવેલી વળતી ફરિયાદ અનુસાર, તેઓ અને તેમના ભાઈ ભાવુભાઈ ઝૂંપડે હાજર હતા ત્યારે સામાભાઈ ધમાભાઈ વાઘેલા, વિપુલ સામાભાઈ વાઘેલા અને વિનુ સામાભાઈ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા. સામાભાઈએ ભરતને “તું અમારી બાજુના ઝૂંપડામાં ન રહે, બીજે રહેવા જતો રહે” કહી ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સામાભાઈએ લોખંડનો સળિયો માથામાં મારી લોહી કાઢી નાખ્યું હતું. વચ્ચે પડેલા ભાવુભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઝઘડામાં નીતાબેન મનસુખભાઈ પરમારે પણ આવી ગાળાગાળી કરી ધમકી આપી હતી.
સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ભરતભાઈ વાઘેલાની ફરિયાદ પરથી સામાભાઈ વાઘેલા, વિપુલ વાઘેલા, વિનુ વાઘેલા અને નીતાબેન પરમાર સામે BNS કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો (ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૬૧૬૮૩/૨૦૨૬) નોંધી હેડ કોન્સ. વી. એમ. રાવલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





