જામનગર: અનેક વાહનોની માલિકી નામ ટ્રાન્સફરની કામગીરી લાંબા સમયથી ધીમી, કેમ? શું કહે છે RTO?

0
87

જામનગર અપડેટ્સ : જામનગર સહિત સમગ્ર ગુજરાતની RTO કચેરીઓમાં વાહનની માલિકી ટ્રાન્સફર કરવાની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. મેન્યુઅલ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ઓનલાઈન કામગીરી પણ સોફ્ટવેર અપડેશન અને ટેકનિકલ ખામીઓને કારણે થઈ શકતી નથી. પરિણામે જામનગર સહિત રાજ્યભરના લાખો વાહનમાલિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વાહન વેચાણ કે ખરીદી બાદ સરકારી રેકર્ડમાં માલિકનું નામ બદલવું કાયદેસરની અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. સામાન્ય રીતે વાહનમાલિકો RTO મારફતે RCમાં નામ ટ્રાન્સફર કરાવતા હોય છે. જોકે, છેલ્લા આશરે દોઢ મહિનાથી આ કામગીરીમાં ભારે વિક્ષેપ સર્જાયો છે.

સમગ્ર સમસ્યા અંગે મળતી વિગતો મુજબ, RTO કચેરીઓમાં નામ ટ્રાન્સફરની મેન્યુઅલ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઓનલાઈન પ્રક્રિયા માટેના સંબંધિત સોફ્ટવેરમાં જરૂરી અપડેશન અને ટેકનિકલ ખામીઓ હોવાના કારણે અરજદારોની કામગીરી આગળ વધી શકતી નથી. ખાસ કરીને નામ ટ્રાન્સફર સાથે જોડાયેલી ઓનલાઈન આધાર લિંકની પ્રક્રિયા પણ હાલ અટવાઈ હોવાનું જાણવા મળે છે.

જામનગરની વાત કરીએ તો RTOમાં દરરોજ સરેરાશ આશરે 200 જેટલી નામ ટ્રાન્સફરની અરજીઓ આવતી હોવાનું માનવામાં આવે તો છેલ્લા 45 દિવસ દરમિયાન અંદાજે 9થી 10 હજાર વાહનમાલિકોની કામગીરી પ્રભાવિત થઈ હોવાનો અંદાજ છે. સમગ્ર રાજ્યમાં પણ આ પ્રકારની મોટી સંખ્યામાં અરજીઓ અટવાઈ હોવાના કારણે વાહનમાલિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે, મેન્યુઅલ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હોવા છતાં ઓનલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે કાર્યરત ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. પરિણામે વાહન ખરીદનાર અને વેચનાર બંને માટે કાયદેસરની માલિકી બદલવાની પ્રક્રિયા અધવચ્ચે અટકી છે.

આ પરિસ્થિતિમાં વધુ એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. ઘણા કિસ્સાઓમાં વાહનમાલિકો RTOમાં નામ ટ્રાન્સફર પૂર્ણ થાય તે પહેલાં જ ખરીદનારને વાહન સોંપી દેવામાં આવતું હોય  છે. આવા વાહનનો અકસ્માત થાય, કોઈ વ્યક્તિને ઈજા થાય કે ગંભીર ઘટના બને ત્યારે સરકારી રેકર્ડમાં જૂના માલિકનું નામ અને વાસ્તવિક કબજેદાર અલગ હોય તો જવાબદારી નક્કી કરવામાં પણ જટિલતા ઊભી થઈ શકે છે.

અટકેલી કામગીરીને કારણે અરજદારો વારંવાર RTO કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જોકે, સ્થાનિક કચેરીના સ્તરે પણ આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ શક્ય નથી, કારણ કે ટેકનિકલ ખામી અને સોફ્ટવેર સંબંધિત સમસ્યા રાજ્ય કક્ષાએથી દૂર થવાની છે.

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે જો એક સામાન્ય વાહનમાલિકને પોતાની માલિકી ટ્રાન્સફર જેવી મૂળભૂત સરકારી કામગીરી માટે દોઢ મહિનાથી રાહ જોવી પડે, તો ડિજિટલ વ્યવસ્થાની કાર્યક્ષમતા સામે સવાલ ઊભા થાય છે. ઓનલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી વૈકલ્પિક મેન્યુઅલ વ્યવસ્થા શરૂ કરવી અથવા તાત્કાલિક ટેકનિકલ ખામી દૂર કરવી જોઈએ એમ અરજદારો ઇચ્છે છે, જેથી જામનગર સહિત સમગ્ર રાજ્યના હજારો-લાખો વાહનમાલિકોને રાહત મળી શકે.

કેમ કામગીરી ઠપ્પ થઈ ??? 

આ બાબતે સંપૂર્ણ હકીકત જાણવા જામનગર અપડેટ્સ દ્વારા આરટીઓ અધિકારી ઉપાધ્યાય સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું કે કામગીરી ઠપ્પ નથી થઈ પરંતુ નવા સોફ્ટવેરને લઈને  મોટાભાગના અરજદારની આરસી બુક અને આધાર કાર્ડમાં નામ એક સમાન ન હોવાથી લીંકીંગ થતું નથી જેથી નામ ટ્રાન્સફર પ્રક્રિયા મંદ પડી છે, આરસી અને આધારમાં દર્શાવેલ નામ એક સમાન કરાવ્યા બાદ જ જે તે અરજદારો નામ ટ્રાન્સફર કરી શકશે. આ સમસ્યાના કારણે સમગ્ર રાજ્યમાં કામગીરી ખૂબ જ મંદ પડી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here