જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં મગફળીના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી દવાની અસર થતાં એક યુવાન ખેડૂતનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે શેઠવડાળા પોલીસે અકસ્માત મોતનો દાખલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ડેરી આંબરડી ગામના રહેવાસી પરેશભાઈ ડાયાભાઈ પીપરોતર (ઉં.વ. આશરે 32 વર્ષ) પોતાના ખેતરમાં મગફળીના પાકમાં નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ સમયે ઝેરી દવાની અસર તેમના શરીર પર થતાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પીપરોતરએ શેઠવડાળા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો દાખલો નોંધ્યો છે.

શેઠવડાળા પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મગફળીના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી દવાની અસર થતાં આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.





