જામનગર જિલ્લામાં સોમવારે (06 જુલાઈ) વિવિધ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ અનેક ગામોમાં સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર તાલુકામાં મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તેમાં છેલા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો, પરડવામાં પાંચ મીમી નોંધાયો છે જ્યારે મોસમની વાત કરવામાં આવે તો, વાંસજાળીયા ખાતે 155 મી.મી., નવાગામ ખાતે 150 મી.મી., સમાણા ખાતે 134 મી.મી., જામવાળી ખાતે 112 મી.મી., ધ્રાફા અને પરવડા ખાતે 105-105 મી.મી., શેઠ વડાળા ખાતે 86 મી.મી. તથા ઘુનડા ખાતે 46 મી.મી. વરસાદ નોંધાયો છે.
કાલાવડ તાલુકામાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ખરેડી ખાતે 30 મી.મી., મોટા વડાળા ખાતે 6 મી.મી., નિકાવા ખાતે 15 મી.મી, નવાગામ ખાતે 15 મી.મી. વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકામાં હડિયાણા ખાતે 5 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર તાલુકાના મોટી ભલસાણ ખાતે 12 મીમી અને અલિયાબાડા ખાતે 2 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે અન્ય સેન્ટરો પર વરસાદે વિરામ લીધો છે જોકે અન્ય સેન્ટર પર મોસમના કુલ વરસાદની વાત કરીએ તો લાખાબાવળ ખાતે 5 મી.મી., વસઈ ખાતે 3 મી.મી., હડમતિયા ખાતે 2 મી.મી. અને દરેડ ખાતે 4 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ મોટી બાણુગાર, જામવંથલી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી.
લાલપુર તાલુકામાં ભાણગોર ખાતે મોસમનો કુલ 10 મી.મી., પીપરટોડા ખાતે 5 મી.મી., મેડાપર ખાતે 8 મી.મી., હરિપર ખાતે 4 મી.મી. અને મોટા ખડબા ખાતે 1 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે પડાણા ખાતે વરસાદ નોંધાયો નથી.
આંકડા મુજબ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામજોધપૂર તાલુકાના વાંસજાળીયા ગામમાં 155 મી.મી. નોંધાયો છે, જ્યારે અનેક ગામોમાં વરસાદનો આંક શૂન્ય રહ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસમાન સ્થિતિ છતાં વરસાદી માહોલ યથાવત રહેતાં ખેડૂતો આગામી દિવસોમાં વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.

તાલુકાઓની વાત કરવામાં આવે તો, જામનગર જિલ્લામાં રવિવાર (5 જુલાઈ) દરમિયાન વરસાદનું વિતરણ અસમાન રહ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લાના છ તાલુકાઓમાં મળીને સરેરાશ 7 મી.મી. વરસાદ નોંધાયો છે. તેમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ 26 મી.મી. અને ધ્રોલ તાલુકામાં 16 મી.મી. વરસાદ વરસ્યો હતો, જ્યારે જામનગર, જોડિયા, લાલપુર અને જામજોધપુર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
જિલ્લાના મોસમી વરસાદના આંકડા મુજબ અત્યાર સુધીમાં જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 190 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે કાલાવડમાં 52 મી.મી., ધ્રોલમાં 25 મી.મી., જામનગરમાં 23 મી.મી., જોડિયામાં 21 મી.મી. અને લાલપુરમાં સૌથી ઓછો 19 મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ સમગ્ર જામનગર જિલ્લાનો મોસમી સરેરાશ વરસાદ 55 મી.મી. સુધી પહોંચ્યો છે. જોકે વરસાદ હજુ પણ અસમાન રીતે વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારોમાં ખેડૂતો વ્યાપક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
રવિવારે કાલાવડ નોંધપાત્ર વરસાદ વરસતાં સ્થાનિક ખેડૂતોમાં આશા જાગી છે, જ્યારે ચાર તાલુકા વરસાદથી વંચિત રહેતાં આગામી દિવસોમાં સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.





