જામનગર અપડેટ્સ: જામનગરના હાઈ-સિક્યોરિટી ગણાતા એરફોર્સ વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરફોર્સ સ્ટેશનમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા એક યુવાને પોતાના ક્વાર્ટર્સમાં જ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા લશ્કરી વસાહત સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગર સિટી સી-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોત (એ.ડી.)નો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
‘જામનગર અપડેટ્સ’ ને પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ બનાવ જામનગરના એરફોર્સ ગેટ નંબર-૦૨ પાસે આવેલા ક્વાર્ટર્સમાં બન્યો હતો. મૂળ હરિયાણા રાજ્યના ભિવાની (બેવાની) જિલ્લાના બાબલા ગામના વતની અને હાલ જામનગર એરફોર્સ-૦૧ ના SMQ ૩૫૩૧૧ નંબરના ક્વાર્ટર્સમાં રહેતા અને સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ નરેશભાઈ ધનખડ (ઉંમર વર્ષ ૩૬) નામના એરફોર્સના જવાને પોતાના ઘરે આ અંતિમ પગલું ભરી લીધું હતું.

ઘટનાની વિગત એવી છે કે, તારીખ ૦૧ જૂન ૨૦૨૬ ના રોજ મધ્યરાત્રિના ૧૨:૦૦ વાગ્યા પછીના કોઈપણ સમયે, સાર્જન્ટ રોહિતભાઈએ પોતાના ક્વાર્ટર્સના રૂમમાં પંખા સાથે દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર પોતે મેળે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે તેમના પત્ની પ્રિતીબેન રોહિતભાઈ ધનખડ (ઉંમર વર્ષ ૩૪, ધંધો: ઘરકામ) એ પોલીસને જાણ કરી હતી. સોમવારે સાંજે આશરે ૦૪:૦૦ વાગ્યે આ ઘટના સત્તાવાર રીતે પ્રકાશમાં આવતાં જ એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. એરફોર્સના આશાસ્પદ સાર્જન્ટે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી.

આ ઘટના અંગે જામનગર સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પંચનામા સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ કેસમાં સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એન. ત્રિવેદીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ એડવાન્સ નંબર ૪૩/૨૦૨૬ થી નોંધ કરીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. દેશની સેવામાં તૈનાત એરફોર્સના સાર્જન્ટના આવા અકાળે અવસાનથી તેમના વતન હરિયાણા અને જામનગર એરફોર્સ મિલિટરી વસાહતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.





