જામનગર અપડેટ્સ: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્ટાફ માટે યોજાયેલી રાષ્ટ્રીય મહત્વની વસ્તી ગણતરીની તાલીમમાં ગંભીર ગેરરીતિ અને બોગસ સહીઓ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તાલીમમાં ગેરહાજર રહેલા કર્મચારીઓની જગ્યાએ અન્ય વ્યક્તિઓ દ્વારા સહીઓ કરી દઈને તેઓને હાજર દર્શાવવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ ઉચ્ચ સ્તરે કમિશનર સમક્ષ કરવામાં આવતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

શું છે સમગ્ર મામલો?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મદદનીશ શિક્ષક રામગોપાલ મિશ્રા દ્વારા જામનગર મહાનગર સેવા સદનના માનનીય કમિશનર શ્રીને એક સત્તાવાર પત્ર લખીને આ અંગે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૨૦, ૨૧ અને ૨૨ મે ૨૦૨૬ ના રોજ એકે. દોશી મહિલા કોલેજ ખાતે વસ્તી ગણતરીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ અંતર્ગત:
- ૨૦ મે ૨૦૨૬: ના રોજ ૪૪ કર્મચારીઓએ તાલીમ લીધી.
- ૨૧ મે ૨૦૨૬: ના રોજ ૫૪ કર્મચારીઓએ તાલીમ લીધી.
- ૨૨ મે ૨૦૨૬: ના રોજ ૬૩ કર્મચારીઓએ વસ્તી ગણતરીની તાલીમ લીધી હોવાનું ચોપડે દર્શાવાયું છે.

હાજરી પત્રકમાં ગંભીર વિસંગતતાઓ અને બોગસ સહીઓ
રજૂઆતકર્તાએ આરોપ લગાવ્યો છે કે તાલીમના સત્તાવાર હાજરી પત્રકો જોતા જ સ્પષ્ટપણે ગંભીર બેદરકારી અને કૌભાંડ સામે આવ્યું છે:
૧. તારીખ ૨૦/૦૫/૨૦૨૬ ના રોજ: ૧૦ કર્મચારીઓ તાલીમમાં તદ્દન ગેરહાજર હતા, પરંતુ તેઓએ બીજા દિવસે આવીને પાછલી તારીખમાં સહીઓ કરી દીધી હોવાનું માલૂમ પડ્યું છે.
૨. તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ: ૦૯ કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં તેઓએ પણ આગામી દિવસે આવીને સહીઓ કરી દીધી હતી.
૩. ચાર્જ ઓફિસરની લાગવગનો ખેલ: સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે હાજરી પત્રકના ક્રમ નંબર: ૫૯, ૬૧, ૬૨ અને ૬૩ ના કર્મચારીઓ ચાર્જ ઓફિસરની લાગવગ ધરાવતા હોવાથી, તેઓ ત્રણ દિવસની તાલીમ દરમિયાન એક પણ દિવસ હાજર રહ્યા ન હતા. આમ છતાં, તેમના વતી અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા બોગસ સહીઓ કરીને તેઓને તાલીમમાં હાજર બતાવી દેવામાં આવ્યા છે!

“વસ્તી ગણતરી જેવી અતિ મહત્વની રાષ્ટ્રીય કામગીરીમાં પણ આવી ઘોર બેદરકારી અને કૌભાંડ આચરવામાં આવે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય.” > – રામગોપાલ મિશ્રા (રજૂઆતકર્તા શિક્ષક)
અધિકારીઓની મૌન સંમતિ?
પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર બેદરકારી અને કૌભાંડ અંગે વસ્તી ગણતરી અધિકારી નિકુંજભાઈ શુક્લને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ ન મળતા અથવા પગલાં ન લેવાતા આખરે આ મામલે સીધા જામનગર મ્યુનિસિપલ કમિશનરશ્રીના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
આ રજૂઆત પત્રની નકલ (C.C.) જનગણના કાર્ય નિર્દેશાલય (D.C.O.) ગુજરાત તેમજ સિટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનરશ્રીને પણ પુરાવારૂપ હાજરી પત્રકોની નકલ સાથે મોકલી આપવામાં આવી છે અને આ સમગ્ર કૌભાંડ અંગે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરની સેન્સસ કામગીરીમાં આ પ્રકારે ઘરના ભૂવા થઈને બોગસ સહીઓ થવાના મામલે હવે કમિશનર કક્ષાએથી કેવા પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાણી છે.





