જામનગર: કાળઝાળ ગરમીમાં પક્ષીઘરમાં આધુનિક ‘ફોગર સિસ્ટમ’

0
15

જામનગર અપડેટ્સ: હાલ જામનગર સહિત સમગ્ર રાજ્યભરમાં ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલી અગનઝોલાને કારણે જનજીવન પર વ્યાપક અને પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ગરમીનો પારો સતત ઊંચો રહેતા માણસોની સાથે સાથે અબોલ જીવો અને પક્ષીઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. આવી અસહ્ય ગરમીમાં મૂંગા પક્ષીઓને બચાવવા અને તેમને ઠંડક આપવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય અને રાહતરૂપ સંવેદનશીલ કામગીરી કરવામાં આવી છે.

પક્ષીઓ માટે કેવી વિશેષ વ્યવસ્થા ??૨૫ પાંજરામાં ફોગર સિસ્ટમ

જામનગરના એક માત્ર પક્ષીઘરમાં રહેલા પક્ષીઓને ગરમીથી બચાવવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના સમયમાં પક્ષીઘરના પાંજરાઓ પર માત્ર પાણીનો છંટકાવ કરીને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવાનો પરંપરાગત પ્રયાસ થતો હતો. પરંતુ આ વર્ષની રેકોર્ડબ્રેક ગરમીને જોતા, પક્ષીઓને ચોવીસેય કલાક કાયમી ઠંડક મળી રહે તે માટે પક્ષીઘરમાં આધુનિક ‘ફોગર સિસ્ટમ’ (Fogger System) ફિટ કરીને કાર્યરત કરવામાં આવી છે. અહીં અલગ-અલગ પ્રજાતિના આશરે ૪૦૦ જેટલા પક્ષીઓ વસવાટ કરે છે. આ તમામ પક્ષીઓની સુવિધા માટે કુલ ૨૫ પાંજરાઓ (કેજ)માં આ ફોગર મશીનો લગાડવામાં આવ્યા છે, જેમાંથી પાણીની બારીક વરાળ (ધુમ્મસ) છૂટતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જાય છે.

ગરમી વચ્ચે પક્ષીઓનો કિલ્લોલ

આ આધુનિક વ્યવસ્થાને કારણે પાંજરાઓની અંદરનું તાપમાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે. બહાર ભલે કાળઝાળ ગરમી પડી રહી હોય, પરંતુ પાંજરાની અંદર ફોગરની ઠંડક મળતા જ પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે અને પક્ષીઘર ફરી એકવાર પક્ષીઓના મધુર કિલ્લોલથી ગુંજી ઉઠ્યું છે.

વયવસ્થા અંગે શું કહે છે મહાનગરપાલિકા 

“જામનગરમાં પડી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કમિશનરના દયાભાવી અભિગમને લઈને પક્ષીઘરના પક્ષીઓ માટે આ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પહેલા માત્ર પાણી છાંટીને રાહત અપાતી હતી, પણ હવે ૪૦૦ પક્ષીઓ ધરાવતા ૨૫ પાંજરાઓમાં ફોગર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે, જેથી પક્ષીઓને સતત ઠંડો માહોલ મળી રહે.”

હિરેન સોલંકી, વર્ક આસિસ્ટન્ટ, જામનગર મહાનગરપાલિકા

મહાનગરપાલિકાના આ સંવેદનશીલ અભિગમની વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનીક નાગરિકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here