જામનગર: પત્ની સહિત સાત શખ્સોએ પતિ પર કર્યો હથોડી અને તવાથી જીવલેણ હુમલો

0
7

જામનગર અપડેટ્સ : છોટા કાશી તરીકે જાણીતા જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પત્નીએ જ અન્ય શખ્સો સાથે મળીને પોતાના પતિને રસ્તા વચ્ચે આંતરી લોહીલુહાણ કરી નાખ્યો છે. જૂની ફરિયાદ પાછી ખેંચવા બાબતે ચાલી રહેલા વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, રસોઈના સાધનો હવે હુમલાનું હથિયાર બની ગયા છે. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બેંક ઓફ બરોડા પાસે બનેલી આ ઘટનાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાડી છે.આ ઘટના બાદ બનાવનો વિડીઓ વાયરલ થતા ઘટના પ્રકાસમાં આવી અને પોલીસ હરકત આવી છે.

પૂર્વ આયોજિત કાવતરું: હથોડી, જારો અને તવાથી ખેલાયો લોહીયાળ જંગ
બનાવની વિગત મુજબ, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતા વસીમભાઈ ઉર્ફે બંટી હાજીભાઈ ખફી પર ગત રાત્રે આશરે સાડા દસ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. વસીમભાઈ જ્યારે એસ.ટી. રોડ પર બાપાસીતારામ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની પત્ની શહેનાજબેન અને અન્ય છ સાગરીતોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, વસીમભાઈને ગાળો આપી જૂની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ પોતાની પાસે રહેલી હથોડી અને રસોઈ કરવાના તવા તથા જારા વડે વસીમભાઈ પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.

કૌટુંબિક ઝઘડામાં ગંભીર ઇજાઓ: પોલીસ ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં
આ હિંસક હુમલામાં વસીમભાઈને ડાબી આંખ પાસે ગંભીર ઇજા થતા ત્રણ ટાંકા આવ્યા છે, ઉપરાંત નાક, ખભા અને હાથ-પગના ભાગે પણ ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પત્ની શહેનાજબેનને અનવર નામના શખ્સ સાથે સંબંધ હોવા બાબતે અગાઉ વિવાદ થયો હતો, જેનો ખાર રાખીને આ પૂર્વ આયોજિત કાવતરું રચાયું હતું. જામનગર સીટી એ. ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેવી કે 115(2), 118(1), અને 191(2) તેમજ હથિયારબંધીના ભંગ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

યુવાને હોસ્પીટલમાં સારવાર લેતી વખતે વિડીઓ બનાવ્યો- ન્યાયની આશા:
આ ઘટના બાદ ઘવાયેલ યુવાનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર લીધા બાદ યુવાને એક વિડીઓ બનાવી વાયરલ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે પી.એસ.આઈ. એલ.બી. જાડેજા આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે. ભરી બજારે થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે, પત્ની અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલા આ ‘મારકણા’ હુમલા બાદ પોલીસ કેટલી ઝડપે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here