જામનગર અપડેટ્સ: ક્યારેક જીવનમાં થતી નાની વાતો પણ માણસના મનમાં એટલી ઊંડી ઘા મૂકી જાય છે કે તેનો અંત કરુણ બની જાય છે. જામનગર જિલ્લાના બાણુગાર વિસ્તારમાં બનેલી એવી જ એક હૃદયવિદારક ઘટના સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરી રહી છે. અહીં એક જ કારણને લઈને પિતરાઈ ભાઈ બને એવા બે પિતરાઈ ભાઈઓએ થોડા જ કલાકોના અંતરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં બે પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી મુજબ તા. ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે પ્રથમ બનાવ મોટી બાણુગાર ગામની સીમમાં ભુપતભાઈ પીંતાબરભાઈ પટેલની વાડીમાં બન્યો હતો. અહીં ૩૭ વર્ષીય ખુમલોભાઈ રણછોડભાઈ બુંડોરીયા ખેતરમાં ઉભેલા ઈલેક્ટ્રિક પોલના એંગલ સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ મૃત્યુ પામ્યા હતા. આ અંગે નવલભાઈ રણછોડભાઈ બુંડોરીયાએ જાણ કરી હતી. તેઓ હાલ નાની બાણુગાર ગામની સીમમાં ખેતી મજૂરી કામ કરે છે અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના સાગોટા ગામના રહેવાસી છે. આ ઘટનાના થોડા સમય બાદ સવારે આશરે ૯:૩૦ વાગ્યા પહેલા નાની બાણુગાર ગામની સીમ વિસ્તારમાં બીજો બનાવ સામે આવ્યો હતો. અહીં સંદીપ નામના યુવાને પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ મૃતક ખુમલોભાઈ અને સંદીપ બંને પિતરાઈ ભાઈ થતા હતા અને બંને વચ્ચે બનેલા બનાવનું કારણ પણ એક જ હતું. થોડા દિવસો પહેલા બંનેનો તેમના સગા મામા સાથે સામાન્ય બોલાચાલીનો બનાવ બન્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાત બંને યુવાનોને મનમાં લાગી જતા એક પછી એક બંનેએ જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. આ દુઃખદ બનાવની જાણ થતાં બાણુગાર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સમગ્ર મામલે પંચ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આવો બનાવ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. નાની વાતો અને ક્ષણિક ઉશ્કેરાટના કારણે જીવ ગુમાવવાની ઘટનાઓ વધતી જતી માનસિક તણાવની સ્થિતિ દર્શાવે છે. પરિવાર અને સમાજે મળીને યુવાનોને સમજાવવું, સંવાદ વધારવો અને મુશ્કેલ સમયમાં માનસિક સહકાર આપવો ખૂબ જરૂરી છે. કારણ કે એક ક્ષણનો નિર્ણય આખા પરિવાર માટે અપરિમિત દુઃખનું કારણ બની શકે છે.





