જામનગર: માનવતા લજાવનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદ

0
8

જામનગર અપડેટ્સ : જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે કાયદાનો હથોડો નિર્દયતાથી પડવો અનિવાર્ય બની જાય છે. જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપતા, સાડા ત્રણ વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ૬૮ વર્ષીય વૃદ્ધને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે માસૂમોની સુરક્ષા સાથે ખિલવાડ કરનાર ગમે તેટલો વગદાર કે મોટી ઉંમરનો હોય, કાયદો તેને છોડશે નહીં.

માસૂમ રમતો હતો અને પાડોશી માણસના રૂપમાં સેતાન બન્યો

ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ ૧૮/૦૭/૨૦૨૩ ના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં, જામનગરના હાપા રંગમતી આવાસમાં રહેતા એક પરિવારનો માત્ર ૩ વર્ષ, ૯ માસ અને ૨૮ દિવસનો પુત્ર ઘરની બહાર રમી રહ્યો હતો. બાળકના પિતા રિક્ષા ચલાવવા ગયેલા હતા અને માતા ઘરે દશામાના વ્રતની આરતીની તૈયારી કરી રહી હતી. પાડોશી મહિલાઓ પણ આરતીમાં જોડાઈ હતી. આ સમયે અચાનક બહારથી બાળકના રડવાનો અવાજ સંભળાયો.
​માતા અને પાડોશી મહિલાઓ દોડીને બહાર આવી, ત્યારે જે દ્રશ્ય જોયું તે કાળજું કંપાવી દે તેવું હતું. પાડોશમાં જ રહેતો ૬૮ વર્ષીય નરાધમ રસિકલાલ દેવજીભાઈ પરમાર પોતાના ઘરની બહાર ગાદલું પાથરી, માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ગંદું કૃત્ય (Khas Khabar) કરી રહ્યો હતો. માતાને જોઈ નરાધમ હેબતાઈ ગયો હતો. માતાએ તુરંત જ રડતા બાળકને સંભાળી, પિત અને સસરાને જાણ કરી હતી.

કોર્ટે નકારી દયા, સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય

​પીડિત બાળકની માતાએ હિંમત દાખવી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરાધમ રસિકલાલ સામે IPC કલમ ૩૭૭, પોક્સો એક્ટની કલમ ૪ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સ્પે. પોક્સો કોર્ટમાં જજ શ્રી આર.પી. મોગેરા સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો.

કેસ દરમિયાન સરકારી વકીલ શ્રીમતી ભારતી વાદીએ દલીલ કરી હતી કે, “આરોપીની ઉંમર ભલે ૬૮ વર્ષ હોય, પણ તેનું કૃત્ય અત્યંત ઘૃણાસ્પદ છે. એક માસૂમ, જે હજુ બોલી પણ નથી શકતો, તેના પર આવો અત્યાચાર સમાજ માટે ખતરો છે. આવા કેસમાં કોઈ દયા ન રાખવી જોઈએ.” સરકારે કુલ ૧૨ સાહેદો, આઈવિટનેસ અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે તમામ પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી, આરોપી રસિકલાલ પરમારને પોક્સો કલમ ૪ હેઠળ તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, રૂ. ૫,૦૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે પીડિત બાળકને વળતર પેટે રૂ. ૨ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદો એ તમામ વિકૃત માનસિકતા ધરાવતા લોકો માટે એક કડક ચેતવણી છે કે, માસૂમો સામેના ગુનાઓમાં કાયદો લાલ આંખ કરશે. પીડિત પરિવાર માટે આ ન્યાયની જીત છે, પરંતુ માસૂમ બાળકના મન પર પડેલા ઘા રૂઝાતા સમય લાગશે. સમાજે પણ આવા નરાધમોથી સાવધ રહેવાની જરૂર છે. માત્ર બાળકોને સમજાવવાથી જ બધું નહી થાય પણ તેઓને હિમ્મત પણ આપવી જ રહી સાથે સાથે સોબતની અસરો અને કોની સાથે સોબત તે પણ જરૂરી છે.

સમાજમાં જાગૃતિ અને હિંમત જ સુરક્ષાની ચાવી

​આ ઘટના આપણને બે મોટી બાબતો શીખવે છે. પ્રથમ, બાળકો પર હંમેશા નજર રાખો, ભલે તેઓ ઘરની બહાર જ કેમ ન રમતા હોય. પાડોશી ગમે તેટલો પરિચિત હોય, બાળકની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ. બીજું, જો આવું કોઈ કૃત્ય બને, તો ડર્યા વગર તુરંત પોલીસ ફરિયાદ કરો. આ કેસમાં માતાની હિંમત અને તુરંત કાર્યવાહીને કારણે જ નરાધમને સજા મળી શકી છે. તમારી હિંમત જ બીજા બાળકોને ભોગ બનતા અટકાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here