જામજોધપુર: પિતાને એટેક આવ્યો, માતાને પેરાલીસીસ પછી યુવાન પુત્રએ ન ભરવાનું પગલું ભર્યું

0
665

જામનગર અપડેટ્સ: સતત વધતા જતા આપઘાતના બનાવોમાં સૌથી મોટી ચિતા એવા બનાવોએ વધારી છે જે હજુ માત્ર યુવાનીમાં પ્રવેશતા જ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવો જ એક બનાવ જામજોધપુર તાલુકાના રબારીકા ગામે નોંધાયો છે જેમાં છેલ્લા ૧૫-૨૦ દિવસમાં પિતાને હાર્ટ એટેક અને માતાને પેરાલીસીસનો સ્ટ્રોક આવી જતા સતત ચિંતા મગ્ન યુવાન પુત્રએ ગામમાં જ રહેતા એક ખેડૂતની વાડીના કુવામાં જંપલાવી આપઘાત કરી લીધો છે. યુવાન પુત્રના અવિચારી પગલાથી બીમાર માતાપિતા પર આભ ફાટી પડ્યુ છે.

જામનગર જીલ્લામાં યુવા વયે વધી રહેલ બનાવોએ સમાજચિંતકો ની ચિંતામાં વધારો કર્યો છે. જામજોધપુર તાલુકાના રબારીકા ગામે એક યુવાને અવિચારી પગલું ભરી લેતા પરિવાર સહીત નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેની વિગત મુજબ તાલુકા મથકથી ૧૫ કિમી દુર આવેલ રબારીકા ગામે રહેતા વીસ વર્ષીય હાર્દિકભાઈ દિનેશભાઈ સીતાપરા નામના યુવાને ગઈ કાલે વાડી વિસ્તારમા આવેલ સવાદાસભાઇ નારણભાઇ કરંગીયાની વાડીએ જઈ કુવામાં જંપલાવ્યુ હતું. જ્યાં કુવાના પાણીમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવાનના દેહને કુવામાંથી બહાર કાઢી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે દિનેશભાઈ રામજીભાઈ સીતાપરાએ પોલીસમાં જાણ કરી નિવેદન નોંધાવ્યું હતું. જેમાં મૃતકના પિતાને થોડા સમય પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો જયારે તેના માતાને પેરાલીસીસનો સ્ટ્રોક આવ્યો હતો. માતા પિતાની બીમારીની સતત ચિંતામાં રહેતા ગુમસુમ યુવાને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. કોળી પરિવારનો જુવાનજોધ પુત્ર અકાળે અવિચારી પગલું ભરી અનંતની વાટે ચાલ્યો જતા પરિવાર સહીત સમગ્ર ગામમા ગમગીની છવાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here