જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં 29 વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાક મકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં અ.મોતનો ગુનો નોંધાયો છે. પોલીસના અહેવાલ મુજબ, તા. 6 સપ્ટેમ્બર 2026ના રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે ઓખા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતેના P-73/1 રહેણાક મકાનમાં આ ઘટના બની હતી. મરણ જનાર મુસ્કાન કુમારી (ઉંમર 29 વર્ષ) પોતાના પતિ સાથે ઘરે હાજર હતી.

પ્રાથમિક વિગતો મુજબ, મુસ્કાન કુમારી ગુસ્સામાં બોલી રહી હતી. તે સમયે તેમના પતિએ તેમને શાંતિ રાખવા અને ખોટો ગુસ્સો ન કરવા ઠપકો આપ્યો હતો. આ વાતનું મનમાં લાગી આવતા મુસ્કાન કુમારીએ પોતાના રૂમમાં પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તા. 7 સપ્ટેમ્બરના વહેલી સવારે 4:30 વાગ્યે ઓખા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃતક મુસ્કાન કુમારી મૂળ બિહારના છપરા જિલ્લાના રીવિલગંજ તાલુકાના વતની હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. તેમના પતિ વિકાસ ભાસ્કર બ્રહ્મદેવનારાયણ જ્ઞાની કોસ્ટગાર્ડમાં નોકરી કરે છે અને હાલ ઓખા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરમાં રહે છે. આ બનાવ અંગે ઓખા મરીન પોલીસ સ્ટેશન અ.મોત હેઠળ BNSS કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.એમ. જાડેજા દ્વારા ઇન્કવેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




