જામનગર : જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓને કોલકતાથી પકડી પાડ્યા બાદ જામનગર પોલીસ જામનગર લઇ આવી આજે કોર્ટમાં રજુ કરી બાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. જામનગર પોલીસે રવિવારે જ કોલકાતા પહોચી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. કોલકતામાં જ ત્રણેય આરોપીઓને રજુ કરી પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
જામનગરમાં થયેલ વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણ સંદર્ભે જામનગર પોલીસે એક વર્ષ સુધી તપાસ ચલાવ્યા બાદ ન જયેશ પટેલ હાથ લાગ્યો કે ન ભાડુતી હત્યારાઓ, જેને લઈને રાજ્ય સરકારે આ પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. જેમાં પણ કોઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ આ પ્રકરણની તપાસ ફરી જામનગર પોલીસને સોંપી હતી. જામનગર એલસીબીના પીએસઆઈ કે કે ગોહિલ સહિતનાઓએ તાત્કાલિક તપાસ સંભાળી લીધી હતી દરમિયાન જામનગર પોલીસને કોલકતાના ઈનપુટ મળ્યા જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોલકતાના ચોક્કસ વિસ્તારમાં જામનગર પોલીસે મુસ્લિમ પરિધાન ધારણ કરી આરોપીને ગત તા.૧૪/૩/૨૦૨૧નાં રોજ દબોચી લીધા હતા. પીએસઆઈ કેકે ગોહિલએ તાત્કાલિક ત્રણેય આરોપીઓને કોલકતા કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ જામનગર પોલીસ ત્રણેય આરોપીઓને લઈને જામનગર આવવા રવાના થઇ હતી. જામનગર આવી પહોચેલ એલસીબીની ટીમેં કોવિડ ટેસ્ટ કર્યાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો છે. જેને લઈને આજે સાંજે ત્રણેય આરોપીઓ હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીને જામનગર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ત્રણેય આરોપીઓને બાર દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે. બીજી તરફ વકીલ કિરીટ જોશીની હત્યાને લઇને જામનગરના એક પણ વકીલ કેસ લડવા તૈયાર થયા ન હતા. જેને લઈને કોર્ટે લીગલ સેલમાંથી એક વકીલ ફાળવ્યા હતા. જયારે સરકારે આ કેશની ગંભીરતાને ધ્યાને રાખી રાજકોટના નામાંકિત ધારાશાસ્ત્રી અનીલ દેસાઈની નિમણુક કરતા તેઓએ આજે જામનગર આવી દલીલો કરી હતી.