જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પરના ખંભાલીયા નજીક સિહણ ગામના પાટિયા પાસે ગઈ કાલે બપોરે ડબલ સવાર બાઈક સવારોને પુર ઝડપે દોડતા ટેન્કરે કચડી નાખતા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. જામનગર નગરના બંને યુવાનો બાઈક પર ખંભાલીયા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવના પગલે જામનગરના હતભાગી પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

ખંભાલીયા નજીક જામનગર રોડ પર આરાધનાધામ- વડાલીયા સિહણ પાટિયા પાસે જીજે ૧૦ બીએમ ૩૬૦૩ નંબરના મોટરસાયકલને ગઈ કાલે બપોરે આરાધનાધામ નજીક વડાલીયા સિંહણ ગામના પાટીયા પાસે પુર ઝડપે પસાર થતા જીજે ૧૦ એક્સ ૯૨૪૩ નંબરના એક ડીઝલ ટેંકરએ મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં મોટર સાયકલ પર સવાર જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ બાવરીવાસમાં રહેતા ગોવિંદ રતનભાઈ પરમાર ઉવ ૨૦ થી ૨૨ અને બાદલ શ્યામભાઈ કોળી (ઉવ ૨૦ થી ૨૨) નામના બંને યુવાનો ટેન્કરના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા. બંને યુવાનોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતક ગોવિંદભાઈના સબંધીએ રાજકોટ જીલ્લાના ઉપલેટાના ટેન્કર ચાલક વિરમ વંશ સામે ફરિયાદ નોંધાવતા ખંભાલીયા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે જામનગરના હતભાગી પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું.