જામનગર : જામનગર તાલુકાના સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ પર મોડી રાત્રે એક સખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. હુમલો કરી નાશી ગયેલ આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
જામનગર નજીકના સિક્કા ગામે દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ જગદીશભાઈ વાલજીભાઈ ચોહાણ અને તેના મિત્રો ગત રાત્રે સીકકા દિગ્વીજય ગ્રામ ખાતે આવેલ કારાભુગા આબેડકર ચોક અશગર જામની દુકાન સામે ઉભા હતા ત્યારે ધીરજ કાન્તીલાલ ચૌહાણ નામનો સખ્સ પોતાની એકટીવા લઇ આવી ચડ્યો હતો. જ્યાં સરપંચ જગદીશભાઈની સામે વાણી વિલાસ આચાર્યો હતો અને એકાએક ઉસ્કેરાઈ જઈ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સરપંચને છાતીના ભાગે તથા ગળા પાસે અને બીજો ઘા જમણા હાથના બાવળાના ભાગે મારી ઈજા પહોચાડી હતી.
‘હવે મે બનાવેલ મકાન કાયદેસર નામે નહી ચડાવીશ તો જાનથી મારી નાખીશ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી એકટીવા લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ આરોપી સામે સિક્કા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ કોઇ મહાજનની ખુલી જગ્યામા દિગ્વીજયગ્રામ પંચાયતની મંજુરી વગર મકાન બનાવેલ હોય અને આ મકાન કાયદેસર કરી આપવા એકાદ માસ પહેલા દિગ્વીજય ગ્રામપંચાયતમા અરજી કરી હતી. ત્યારબાદ પણ સરપંચ અને તલાટી પાસે બેથી ત્રણ વખત મકાન કાયદેસર કરી આપવા રજુઆત કરી હતી. જો કે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામને કાયદેસર કરી શકાય એમ ન હોવાથી સરપંચે ના પાડી હતી. આ બાબતનુ મનદુખ રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.