જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા મામાના ઘરે આવેલ એક ભાણેજનું મોટર સાયકલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. બે દિવસ પૂર્વે રીંજપર ગામે બાઈક આડે એકાએક બળદ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ૧૭ વર્ષીય કિશોરને માથાના ભાગે ઈજા પહોચ્યા બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની લાલપુર પોલીસ દફતરમાં નોંધાયેલ વિગતો મુજબ, ગત તા. તા ૧૩/૧૨/૨૦૨૧ના રોજ તાલુકા મથકથી ૨૫ કિમી દુર આવેલ રીંજપર ગામે સવારે દશેક વાગ્યાના સુમારે સીમ વિસ્તારમાં પસાર થતા મોટરસાયકલ સાથે એક મોટરસાયકલ આડે અચાનક બળદ ઉતર્યો હતો. જેથી બાઈક આ બળદ સાથે અથડાઈ સ્લીપ થઇ ગયું હતું. જેમાં મોટરસાયકલ પાછળ બેસેલ સુરતમાં વરાછા રોડ પર કમળ પાર્કમાં રહેતા પીયુસ સવાદાસભાઈ ગોજીયા ઉવ ૧૭ નામના કિશોરને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત રહેતો કિશોર તેના રીંજપર ગામે રહેતા ખીમાભાઈ મેસુરભાઈ વસરાને ઘરે આટો મારવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.