જામનગર: ૨૫થી માંડી ૪૨ વર્ષ જુના છે ૫૦૦૦ આવાસ, ક્યા વિસ્તારમાં કેટલા આવાસ?

0
1295

જામનગરમાં અનેક જગ્યાએ જર્જરિત આવાસમાં રહેતા નાગરિકો પર મોતનું જોખમ છે એવી અનેક વખતની મીડિયાની બુમરાણ છતાં પણ તંત્ર જાગૃત ન થયું આખરે સાધના કોલોની વિસ્તારમાં આવાસનું બિલ્ડીંગ ધરાસાઈ થયું, હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો, ઘોડા વછૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા હવે અધિકારીઓ, પદાધિકારીઓ નીકળી પડ્યા છે. શહેરમાં કેટલા આવાસ છે ? શું કરી શકાય આવાસ માટે ? સહિતનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

જામનગરમાં અનેક વિસ્તારોમાં આવાસ ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, જાડા અને મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસ ઉભા કરી નાગરિકોને સોંપી દેવામાં આવ્યા છે. સમારકામ નહી થતા આવાસો જર્જરિત થવા લાગ્યા, આજે હાલત એવી છે કે શહેરમાં જે જગ્યાએ આવાસ આવેલ છે તે આવાસ જર્જરિત અને રહેવા લાયક નથી ની વ્યાખ્યામાં આવી ગયા છે. આ તમામ આવાસ અંગે છેલ્લા એક દાયકાથી લોકો તંત્ર સુધી રજૂઆત કરી રહ્યા છે. આ આવાસમાં સાધના કોલોની અને અંધાશ્રમ સામેના આવાસની સંખ્યા સૌથી મોટી છે. હવે જયારે સાધના કોલોનીની અતિ દુખદ ઘટના નજર સામે બની છે ત્યારે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા હાલ શહેરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ કાર્યાલયના કાર્યપાલક ભાવેશ પટેલની આગેવાની નીચે ૧૬ સભ્યોની પાંચ ટીમ દ્વારા રવિવારથી શહેરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડ દ્વારા ઉભા કરવામાં આવાસનું એક બિલ્ડીંગ પડ્યા બાદ બે દિવસ પછી હાઉસિંગ બોર્ડની ટીમ જામનગર પહોંચી છે અને સર્વે ચાલુ કર્યો છે. આવાસની ગુણવતા, સમારકામ યોગ્યતા અને રહેવા લાયક છે કે કેમ ? સહિતના મુદ્દે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે પૂર્ણ થયા બાદ સ્થાનિક તંત્રને રિપોર્ટ મોકલી આગળની કાર્યવાહી કરાશે એમ પટેલે જણાવ્યું છે.

શહેરમાં વડોદરા, ભાવનગર અને  રાજકોટની હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે તે ચાર દિવસ ચાલશે. જેમાં સામે આવેલ જોખમી અને જર્જરીત આવાસોની યાદી મહાનગરપાલિકા અને જાડાને સોંપવામાં આવશે. સાધના કોલોનીમાં જે ઘટના ઘટી તે આવાસના રહેવાસીઓને હાઉસિંગ બોર્ડ દ્વારા અગાઉથી જાહેર નોટિસ આપ્યા હોવાનો કાર્યપાલક પટેલે દાવો કર્યો છે. વર્ષ ૧૯૮0થી વર્ષ ૧૯૯૫ સુધીમાં હાઉસિંગ બોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાં આવાસ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં રજણજીતનગર વિસ્તારમા  1312 આવાસ, શાસ્ત્રીનગરમાં 440 આવાસ, કોટનમીલ 200 આવાસ, હર્ષદમીલની ચાલી વિસ્તારમાં 260 આવાસ, વુલનમીલ વિસ્તારમાં 150 આવાસ, લાખોટા મીગ કોલોનીમાં 114 આવાસ, ખોડીયાર કોલોનીમાં 254 આવાસ, સાધના કોલોની વિસ્તારમાં 2340 આવાસ આવેલા છે. આ  તમામ આવાસનો ડોર ટુ ડોર સર્વે શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાડા અને મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસ પણ ઉભા છે જેની ગુણવતા પણ ચકાસવી જોઈએ એવી માંગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here