જામજોધપુર: ડિવાઈડર પર બેઠા હતા ત્રણ મિત્રો, આઇસર ફરી વળી, એકનું મોત

0
851

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. ત્રણ જીગરજાન મિત્રો ડિવાઇડર પર બેઠા હતા, જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા એક આઈશરના ચાલકે બેકાળજી પૂર્વક પોતાનું વાહન ત્રણેય યુવાનો પર ચડાવી દીધું હતું, જેમાં એક યુવાનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા છે. પોલીસે આઇસર ચાલકને અટકાયતમાં લઈ લીધો છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં બહુચરાજીના મંદિર પાછળ રહેતો અને સહકારી મંડળીમાં નોકરી કરતો વિમલ કાંતિભાઈ ભાલોડીયા તેમજ તેના બે મિત્રો મીત હરેશભાઈ રામોલિયા અને હર્ષિલ રોહિતભાઈ ખાંટ કે જે ત્રણેય ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં જામજોધપુરમાં ગીગણી રોડ પર કોમર્સ કોલેજની સામેના ભાગમાં આવેલા ડિવાઇડર પર બેઠા હતા.
જે દરમિયાન ગીગણી ગામ તરફથી પુરપાટ આવી રહેલા જી.જે. -૩૭-એક્સ ૬૫૯૩નંબરના આઇસર ના ચાલકે પોતાનું વાહન ડિવાઇડર પર ચડાવી દેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણેય યુવાનો પર આઇશર ફરી વળ્યું હતું.

જે પૈકી વિમલ ભાલોડીયા ને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેના અન્ય મિત્રો ઘાયલ થવા થયા હોવાથી જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.
આ બનાવની જાણ પોલીસને થવાથી જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાઘેલા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ આઇસર ચાલકને ઝડપી લીધો હતો, જ્યારે ડિવાઇડર પર ચડી ગયેલું તેનું વાહન કબજે કર્યું છે. તેને ત્રણેય યુવાનોને ફંગોળી આઇસરના ચાલકે વીજ પોલ ભાંગી નાખીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જે સમગ્ર મામલે મૃતક વિમલભાઈના કાકા નંદલાલભાઈ માવજીભાઈ ભાલોડીયાએ જામજોધપુર પોલીસ મથકમાં આઈસર ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here