જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામની ગોલાઈ પર એક રીક્ષા લોખંડના બોર્ડ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું છે. એક માસ પૂર્વે સર્જાયેલ અકસ્માત બાદ લાંબી સારવાર હેઠળ આધેડનું મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુર તાલુકાના બાલવા ગામ પાસે ગોલાઈ પર ગત તા. ૨૨/૮ના રોજ ત્રણ પાટિયા તરફ જતી જીજે ૧૦ ટી ડબ્લ્યુ ૩૨૭૬ નંબરની રીક્ષા રોડ સાઈડમાં આવેલ લોખંડના બોર્ડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક પાસે બેસેલ ગુલઝારભાઇ અલારખ્ખાભાઈ ખીરા ઉવ ૪૫ નામના આધેડ અને અન્ય બે મહિલાઓને ઈજા પહોચી હતી. આ બનાવમાં એક મહિલાને સામાન્ય તેમજ અન્ય એક મહિલાને ફેકચર સહિતની ઇંજા પહોચી હતી. દરમિયાન ત્રણેયને પ્રથમ ભાણવડ બાદ જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગુલઝારભાઈને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બસમાં બેસી પોરબંદર ગયા બાદ રીક્ષામાં બેસી જામનગર આવી રહ્યા હતા. ત્યારે રીક્ષા ચાલક ત્રણ પાટીયાથી રસ્તો ભૂલી જતા તે રીક્ષાને જામજોધપુર તરફ હંકારી ગયો હતો. રસ્તો ભુલાઈ ગયો છે એમ જાણ થતા ચાલક ઇમરાનભાઇ મહંમદભાઇ સમા રહે.ખોજા ગેટ સીલ્વર સોસાયટી ગોસીયા મસ્જીદ પાસે જામનગર વાળો રીક્ષા પરત ત્રણ પાટિયા તરફ લઇ આવતો હતો ત્યારે બાલવા ગામની ગોલાઈ પાસે ગોલાઈ નહી વળતા રીક્ષા સીધી જ રોડ પરના લોખંડના સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી. અકસ્માત નીપજાવી ચાલક રીક્ષા મૂકી નાશી ગયો હતો. જામજોધપુર પોલીસે આ ચાલક સામે ફરિયાદ નોંધી છે.