હનુમાન જયંતી: નગરનું એવું હનુંમાન મંદિર જે ગીનીસ બુકમાં સ્થાન પામ્યું

0
615

જામનગરમાં અનેક શિવાલયો આવેલ છે એટલે જ તો જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. શિવ મંદિરોથી ઓળખાતું નગર અન્ય એક મંદિરના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું  છે. એ મંદિર એટલે બાલાહનુમાન મંદિર, વીસમી સદીના સાતમાં દાયકામાં  બિહારથી સંત પ્રેમ ભિક્ષુજી મહારાજ અહી જામનગર આવ્યા અને લાખોટા તળાવના કિનારે બાલાહનુમાન મંદિરે વર્ષ ૧૯૬૪ની પહેલી ઓગસ્ટના રોજ રામધુનની શરૂઆત કરી, શરુઆતના તબક્કાથી જ રાત દિવસ રામધુનની ગુંજ ગુજતી થઇ, પછી તેમાં તબલા, હાર્મોનિયમ અને માઈક જેવા વાધ્યો ભળતા ગયા સાથે સાથે ભાવિકોનો પ્રવાહ પણ અવિરત બાલાહનુમાન મંદિર તરફ જોડાતો ગયો, વર્ષ ૧૯૬૪થી શરુ થયેલ અતિ ઉર્જાવાળી રામધૂનને હાલ ૫૯ વર્ષમાં પ્રવેશી છે અને અવિરત ચાલી રહી છે.

ભૂકંપ અને કોરોના કાળમાં પણ અવિરત

બાલાહનુમાન મંદિરનો મહિમા ખુબ જ છે એટલે તો સ્થાનિક ઉપરાંત બહાર ગામથી ભાવિકોનો પ્રવાહ સતત હનુમાનજીના ચરણોમાં શીશ જુકાવી ધન્યતા અનુભવવા સતત તલપાપડ થતો જોવા મળ્યો છે. દિવસ કે રાત, ચોમાસું હોય કે શિયાળો હોય કે પછી હોય ઉનાળા બળબળતી બપોર, અહી રાઉન્ડ ધ કલોક રામધુન ગુંજતી રહી છે. ઓર તો ઓર, ૨૦૦૧ના વિનાશક ભૂકંપ વખતે પણ અહી વિરામ લીધા વિના રામ ધૂનનો ગુંજ અવિરત રાખવામાં આવ્યો, આ ઉપરાંત કોરોના કાળમાં સમગ્ર દેશમાં લોક ડાઉન હતું ત્યારે પણ અહી સામાજિક અંતર સાથે પાંચ સભ્યો દરરોજ રામધુનની સુરાવલીઓ લહેરાવતા રહ્યા છે.

બે વખત ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ભારતભરમાં હનુમાનજીના અનેક નાના મોટા મંદિર આવેલ છે પણ અહી મંદિરની વિશેષતા એ છે કે અહી નિજ મંદિરમાં રામ ભગવાન, સીતાજી અને લક્ષ્મણ ત્રણેયની દિવ્ય મૂર્તિઓની સાથે હનુમાનજી બિરાજમાન છે અંતે તમામની એક સાથે જ પૂજા અર્ચના કરવામાં આવે છે.  અહી ચાલતી અખંડ રામધુન બે વખત ગીનીસ બુકમાં સ્થાન પામી છે. એક ધડીના વિરામ વગર અહી છેક ૫૯ વર્ષથી ‘શ્રી રામ જાય રામ જય જય રામ’ની દિવ્ય ગુંજ ગુંજી રહી છે. જેમાં સ્થાનિક નાગરિકો, ભાવિકો થી માંડી નામી-અનામી કલાકારો જોડાય છે.

ધ્વજા ચડાવવાનો નવો અધ્યાય શરુ થયો છે બાલાહનુમાન મંદિરે

આમ તો દેશમાં એવા અનેક મંદિરો છે જ્યાં ભાવિકો દ્વારા દરરોજ ધ્વજાજી ચડાવવાનો મહિમા રહેલો છે. દ્વારકાના જગતમંદિરે ધ્વજાજી ચડાવવામાં છેક દસ વર્ષ સુધીની પ્રતીક્ષા યાદી ચાલી રહી છે. અહી બાલાહનુમાન મંદિરે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા ધ્વજાજી ચડાવવામાં આવે છે પણ હવે ભાવિકો માટે પણ ધ્વજાજી ચડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે દરરોજ એક ભાવિકની ધ્વજા અહી ચડશે, જો ભાવિકોનો પ્રવાહ વધશે તો બપોર બાદ પણ ધ્વજા ચડાવવામાં આવશે એમ ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ખંભાલીયા ખાતે પણ આગામી સમયમાં બાલાહનુમાન મદિર બનાવવામાં આવશે એમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

આજે મંદિરે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

દર વર્ષે હનુમાન જયંતીના દિવસે ભાવિકોથી ઉભરતા આ મંદિરે ભાવિકોનો પ્રવાહ દર વર્ષે બેવડાતો આવ્યો છે. દિવ્ય આરતીનો લ્હાવો લેવા અનેક ભાવિકો સહભાગી બને છે. આજે બાલાહનુમાન મંદિરે ત્રિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સવારની આરતી, મહા પૂજા અને ધ્વજા રોહણ ઉપરાંત પાઠનું પણ આયોજન કરવમાં અવાયું છે. સંધ્યા આરતીમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડશે અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂનના વર્ષોથી ચાલતા નાદમાં સુર પુરાવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here