જામનગર : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે છેલ્લા ત્રણ દીવસથી મૃત્યુ દર વધ્યો છે. અને ૭૩ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ થયા છે. જોકે કોરોના ના કેસ મામલે આજે ચોથા દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૩૦૮ અને ગ્રામ્યના ૨૦૮ સહિત ૫૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૧૯ અને ગ્રામ્યના ૨૮૯ મળી એકીસાથે ૬૦૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ ઘણી રાહત જોવા મળી છે. બીજી તરફ આજે સરકારની મળેલ કોર કમિટીની બેઠકમાં 39 શહેરોમાં લાદવામાં આવેલ નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવી દેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા થોડી બ્રેક લાગી હતી. પરંતુ આજે મૃત્યુનો દર ફરી વધ્યો છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૭૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૭૯૯ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૯,૧૩૩ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૦૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૦,૬૫૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૦,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૦,૯૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી વધ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૭૯૯ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૧૯ અને ગ્રામ્યના ૨૮૯ મળી ૬૦૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.
જ્યારે આજે મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં 39 શહેરોમાં લાદવામાં આવેલ નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવી દેવામાં આવ્યા છે.એટલે કે આગામી 18 મે સુધી રાત્રી કરફ્યુ અને દિવસના નિયંત્રણો યથાવત રાખ્યા છે.