જામનગર: પિતરાઈ ભાઈ-બહેનનો અવૈધિક પ્રેમનો કરુણ અંજામ

0
1800

જામનગર : પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય એ સમય પર જ આધાર રાખે છે. આવો પ્રેમ લાલપુર પંથકના બે વિજાતીય પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો, સમાજ આ સબંધને ક્યારેય નહી સ્વીકારે એમ લાગતા બંને ઘર છોડી ભાગી છૂટ્યા, પણ આ સબંધને સંસારનું રૂપ આપવું શક્ય નહી લાગતા આખરે આ પ્રેમી જોડાએ સજોડે વિષપાન કરી ફાની દુનિયા છોડવાનો અંતિમ પ્રયાસ કર્યો, આ પ્રયાસે પણ એક બીજાને સાથ ન આપ્યો, યુવતીનું મૃત્યુ નીપજ્યું  જયારે યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં બિછાને જોલા ખાઈ રહ્યો છે.

જામનગર જીલ્લામાં પ્રેમ સબંધની અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં લાલપુર તાલુકાના માધુપુર ગામે રહેતા બીજલ વાલાભાઈ જેપારને જામનગરના દરેડ ગામે સોમનાથ સોસાયટીમા રહેતી તેના જ કુટુંબની પિતરાઈ બેન વસંતબેન ઉર્ફે જાગુ વિરમભાઈ જીવાભાઈ જેપાર ઉવ ૧૯ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમયાંતરે બંને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું હતું. કુટુંબમાં રહીને પ્રેમને એકાત્મનું રૂપ આપવું શક્ય ન જણાતા બંને એ ઘરેથી ભાગી છૂટવાનો નિર્ધાર કર્યો, આખરે એક દિવસ એવો આવ્યો કે બંને એકસાથે ઘર છોડી ભાગી છૂટ્યા, આ બાબતની બંનેના પરિવારને જાણ થતા બંનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. બીજી તરફ ઘરેથી ભાગી છુટ્યા બાદ બંનેને એ વિચાર કર્યો કે આ સબંધને સંસારનું રૂપ આપવું શકય નથી, લગ્ન કરવા સંભવ નથી. એવો ખ્યાલ આવતા બંનેએ માધુપુર ગામે એક સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતા જ યુવાનના પરિવાર જનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. જયા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતા તેમની સઘન સારવાર શરુ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા લાલપુર પોલીસે હોસ્પીટલ પહોચી યુવાનના પિતાનું નિવેદન નોંધ્યું  હતું. જેમાં ઉપરોકત વિગતો જાહેર થઇ હતી. આ બનાવના પગલે જીલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here