જામનગર : જામનગરમાં જુદા જુદા રોડ પર કરોડો રૂપિયાના ઈલેક્ટ્રોનિક શો રૂમ ધરાવતા જાણીતા વેપારી પરિવારની પુત્રીએ રવિવારે વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં પુર ઝડપે કાર ચલાવી એક બાઈક ચાલકને ફૂટબોલ બનાવ્યો હતો જો કે ત્યારબાદ પરિવાર મેદાને આવી જતા અને યુવાનને સારવાર અપાવી બનાવ પોલીસ દફતરે ન પહોચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ઘટનાના બે દિવસ બાદ પણ ઘટના પોલીસ દફતર સુધી ન પહોચતા આશ્ચર્ય સર્જાયું છે.

રવિવારે વાલેશ્વરીનગરી વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અરવિંદભાઈ પણસારાનાં ઘર પાસેથી બાઈક લઇ પસાર થઇ રહેલ મનીશભાઈ ચોહાણને ગલી માંથી પુર ઝડપે નીકળેલ એક કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. આ અકસ્માત એટલો ગમ્ભીર હતો કે બાઈક ચાલક રોડ પરથી બાજુના મકાનની દીવાલ તોડી અંદર પછડાયા હતા. આ બનાવના પગલે કાર ચાલક સગીરા કાર સાથે સ્થળેથી નાશી ગઈ હતી. દરમિયાન ઘાયલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સો રૂમના માલિક સહિતનાઓ આવી પહોચ્યા હતા અને બનાવ પોલીસ સુધી ન પહોચે તેની તકેદારી લેવામાં આવી હતી. બે ખાનગી અને એક સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘાયલ મનીસભાઈને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ રવિવારની ઘટના છે છતાં પણ બનાવ હજુ સુધી પોલીસ દફતરે ન પહોચતા પોલીસે પણ કુંડળીમાં ગોળ ભાંગી લીધો હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. સુત્રોનું માનવામાં આવે તો રવિવારે પોલીસે ઘટના સ્થળે પહોચી જે મકાનમાં નુકસાની થઇ છે તેઓને બધો સામાન વ્યવસ્થિત કરી દેવાની સુચના આપી છે. જો આ વાત સત્ય હોય તો પોલીસ દ્વારા જ બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગરના મોટાભાગનાં રોડ પર મોટા સો રૂમ ધરાવતા પરિવાર બનાવમાં ઇન્વોલ્વ હોવાથી કાર્યવાહી નહી કરવામાં આવી હોવાની વાત શહેરમાં ટોકિંગ પોઈન્ટ બની છે.