અરેરાટી : ચણા વેચવા યાર્ડ પહોચે તે પૂર્વે જ ખેડૂત અને મજુર બની ગયા કાળનો કોળીયો

0
569

જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો  છે. જેમાં દેડકદળ ગામેથી ચણા વેચવા માર્કેટિંગ યાર્ડ જઈ રહેલા એક ટ્રેક્ટરને પાછળથી આવી ચડેલા ટેન્કરએ જોરદાર ઠોકર મારતા ટ્રેક્ટર ચાલક ખેડૂત અને એક મજુરનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત નીપજાવી ટેન્કર ચાલક નાશી ગયો છે. આ બનાવના પગલે ખેડૂત અને શ્રમિક પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

ધ્રોલ તાલુકા મથકે ગઈ કાલે સાડા ચારેક વાગ્યાના સુમારે રાજકોટ હાઇવે રોડ પર ત્રીકોણ બાગ પાસેથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા જીઆરઆઈ ૯૬૦૬ નંબરના ટ્રેક્ટરને પાછળથી પુર ઝડપે આવી ચડેલા યુપી ૨૧ સીએન ૧૨૬૫ નંબરના ટેન્કરે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં ટ્રેક્ટર ચાલક એવા દેડકદળ ગામના ભૂપતભાઈ લાધાભાઈ પાદરીયા ઉવ ૪૫ અને તેની સાથે ટ્રોલીમાં બેઠેલ મગન જેતુલભાઈ બધેલ બને ફંગોળાઈ ગયા હતા અને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. બીજી તરફ અકસ્માત નીપજાવી ટેકર ચાલક નાશી ગયો હતો અને મામલતદાર કચેરી પાસે ટેન્કર છોડી ત્યાંથી નાશી ગયો હતો.

જયારે ગંભીર રીતે ઘવાયેલ બંને ઘાયલના સ્થળ પર જ  મૃત્યુ નીપજ્યા હતા. પોલીસે આ બનાવ અંગે નાશી ગયેલ ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂત ભૂપતભાઈ અને ખેત મજુર મગનભાઈ બંને ચણાનો પાક લણી વેચવા માટે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને બંનેના અકાળે અવસાન થતા બંનેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here