જામનગર: દબાણ હટાવવાની કામગીરી વખતે મહાપાલિકાના કર્મચારીઓ સાથે ઝઘડો

એસ્ટેટ શાખાની ટીમ ટ્રેક્ટર સાથે દબાણયુક્ત સામાન દૂર કરતી હતી ત્યારે થયો વિવાદ, બર્ધન ચોકમાં ફરી દેખાતા નહીં’ કહી ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ

0
266

જામનગર અપડેટ્સ: જામનગર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી, ગાળાગાળી અને ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા.13 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ શહેરના જુમ્મા મસ્જિદ પાછળની શેરી, દિલીપ ઘઘુરાના વાળા પાસે તેમજ માંડવી ટાવરથી બર્ધન ચોક તરફના રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ટીમ ટ્રેક્ટર સાથે દબાણયુક્ત સામાન દૂર કરતી હતી.

આ કામગીરી દરમિયાન આરોપી રાજુભાઈ ઉર્ફે શાહરૂખ સિંધીએ તથા તેના પુત્ર મનિષે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બંનેએ જાહેરમાં અપમાનિત કરવાના ઈરાદે ગાળો આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, આરોપી નં.1 રાજુભાઈ ઉર્ફે શાહરૂખ સિંધીએ મહાનગરપાલિકાના અધિકારી તથા સ્ટાફને ધમકી આપતા જણાવ્યું હતું કે, “અહીં બર્ધન ચોકમાં ફરીવાર દેખાતા નહીં, હું સિંધિ છું, કંઈક કરી નાખીશ અથવા તમને બધાને ખોટા કેસમાં ફસાવી દઈશ.” આ રીતે ધમકી આપી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી હોવાનો આક્ષેપ છે.

આ મામલે મહાનગરપાલિકાના કર્મચારી કમલેશભાઈ ગોવિંદભાઈ ગઢવીની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ઉર્ફે શાહરૂખ સિંધિ અને તેના પુત્ર મનિષ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 296(બી), 221, 352, 351(2) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની સરકારી કામગીરી દરમિયાન થયેલી આ ઘટનાને પગલે કામગીરીમાં રુકાવટ અને કર્મચારીઓને ધમકી આપવાના આક્ષેપોને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here