જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. જીલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામે મંજૂરીવાળી લીઝ સિવાયની બહારની જગ્યામાં ગેરકાયદેસર રીતે પથ્થરનું (પથ્થરની ખાણ) ખનન કરતા એક ઇસમને જામનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે પથ્થર કાઢવાના ત્રણ મશીનો સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી જીલ્લામાં ખનિજ ચોરી અટકાવવા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એમ. ઝેર તથા એ.વી. ઝેર ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નો સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા તોસીફભાઈ તાયાણીને ચોક્કસ હકીકત મળી હતી કે, બાબરીયા ગામમાં સ્કૂલની બાજુમાં પથ્થરની લીઝ ચલાવતા નુરમામદ મુંગર અલારખા સમા (રહે. બાબરીયા, તા. લાલપુર) પોતાની મંજૂર થયેલ લીઝની જગ્યા સિવાય બહારની સરકારી કે અન્ય જગ્યામાં ગેરકાયદેસર ખોદકામ કરી ખનન કરી રહ્યા છે.

લાખોનો મુદ્દામાલ જપ્ત અને દંડની કાર્યવાહી
બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે જામનગર ખાણ ખનિજ વિભાગના સ્ટાફ તથા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સંયુક્ત રીતે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પોતાની મંજૂર થયેલી લીઝ સિવાયની જગ્યામાંથી ગેરકાયદેસર પથ્થરો કાઢતો માલુમ પડ્યો હતો.
ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી શું કબજે કર્યું
* પથ્થર કાઢવાના ૩ મશીન (ચકરડી) જેની કુલ કિંમત ₹૩,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
* મંજૂરી વિના કેટલું ગેરકાયદેસર ખોદકામ કરીને ખનિજ ચોરી કરવામાં આવી છે તેની માપણી કરીને અંદાજે કુલ ₹૮,૦૦,૦૦૦/- (આઠ લાખ રૂપિયા) નો દંડ વસૂલ કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.





