જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ધુળેટી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ લોકશાહીનો ઉત્સવ છે. છેલ્લા 150 વર્ષથી અહીં એક અનોખી પરંપરા જીવંત છે – ધુળેટીના દિવસે ભરાતી “મિની સંસદ”. દેશની સંસદ અને રાજ્યસભા જેવી વ્યવસ્થા ગામના આંગણે ઊભી થાય છે, જ્યાં દરેક જ્ઞાતિના ગ્રામજનો સમાન હક્કથી પોતાના પ્રશ્નો રજૂ કરે છે અને સમૂહિક રીતે ઉકેલ શોધે છે. ગામના સરપંચશ્રી અધ્યક્ષ તરીકે કાર્યક્રમનું નેતૃત્વ કરે છે. સંસદની પદ્ધતિ મુજબ કોઈપણ પ્રશ્ન તેમની અનુમતિથી જ રજૂ થાય છે અને ચર્ચા-વિચારણા બાદ તેનું નિરાકરણ કરવામાં આવે છે. આ અનોખી પરંપરા લીંબુડાને માત્ર ગામ નહીં, પણ જીવંત લોકશાહીનું પ્રતિક બનાવે છે.

ગૌ શાળાથી સ્મશાન સુધી – સર્વાંગી વિકાસ પર ચર્ચા
જોડિયા તાલુકાના લીમ્બુડા ગામ આમ પણ સમયની સાથે જ ચાલે છે. આધુનિકતાને વરેલ આ ગામની આ મિની સંસદમાં ગૌશાળા, ચકલાચણ, સ્મશાન, પાણી, સફાઈ, આરોગ્ય અને ધાર્મિક સ્થળો જેવા ગામના મુખ્ય પ્રશ્નો પર ચર્ચા થાય છે. સમગ્ર ગ્રામજનોના પ્રથમ સૂચનો લેવામાં આવે છે. ત્યારબાદ સર્વ ગામજનોના સૂચન મુજબ મુદ્દાઓ રજૂ થાય છે અને સહમતિથી નિર્ણય લેવાય છે.
કાયદો અને વ્યવસ્થા માટે સમય મર્યાદા નક્કી
આ વર્ષની ચર્ચામાં ખાસ મુદ્દો રહ્યો – ખેતરમાં કામ કરતા મજૂરો અંગેનો. સાંજના સમયે તેઓ ગામમાં મોડે સુધી રોકાતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો સમગ્ર ગામને તેની અસર ભોગવવી પડે.
તે માટે શિયાળામાં સાંજે 7:30 સુધી અને ઉનાળો-ચોમાસામાં 8:30 સુધી ગામમાં રહેવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. ત્યારબાદ તેમને પોતાની વાડીએ જવું ફરજિયાત રહેશે. આ નિર્ણયને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તમામ ખેડૂતોએ મજૂરોને જાણ કરવા સંમતિ આપી છે.

સર્વ જ્ઞાતિની સહભાગિતા – એકતાનો મજબૂત આધાર
એક એવું ગામ કે જ્યાં જ્ઞાતિ જાતિના વાડાઓથી પર તમામને સમાન ગણવામાં આવે છે એ લીંબુડા ગામમાં તમામ જ્ઞાતિના લોકો આ મિની સંસદમાં ભાગ લે છે. મતભેદો હોવા છતાં અંતે સર્વસંમતિથી નિર્ણય લેવાય છે, જે ગામની એકતા અને સમરસતાને મજબૂત બનાવે છે. લીંબુડા ગામે ધુળેટીના દિવસે 150 વર્ષ જૂની પરંપરા અનુસાર ગ્રામસભા યોજી. ગૌશાળા, પાણી, સફાઈ સહિતના પ્રશ્નો પર ચર્ચા થઈ. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મજૂરો માટે સમય મર્યાદા નક્કી કરી કાયદેસર જાહેર કરવામાં આવી. સર્વજ્ઞાતિની હાજરીમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો.

સમાજ માટે પ્રેરણાદાયક સંદેશ
લીંબુડા ગામની આ પરંપરા બતાવે છે કે લોકશાહી માત્ર સંસદ ભવન સુધી સીમિત નથી. સાચી લોકશાહી ત્યારે જીવંત બને છે જ્યારે સામાન્ય લોકો પોતાના પ્રશ્નો માટે ખુદ જવાબદારી લે છે. આજે જ્યાં અનેક ગામો નાના મુદ્દાઓ માટે વિવાદમાં ફસાઈ જાય છે, ત્યાં લીંબુડા 150 વર્ષથી સંવાદ અને સહમતિનો માર્ગ અપનાવી રહ્યું છે. જો દરેક ગામ આવી રીતે “મિની સંસદ”નું સ્વરૂપ ધારણ કરે, તો વિકાસ અને શાંતિ બંને હાથમાં હાથ ધરી આગળ વધે. ધુળેટીના રંગો જેવી આ પરંપરા સમાજને સંદેશ આપે છે – એકતા, જવાબદારી અને સંવાદથી જ સાચી પ્રગતિ શક્ય છે.





