સનસનાટી: જે MLA ૫૩ વીઘા જમીન ધરાવે છે તે કાલાવડ ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનાનો લાભ લીધો

0
1810

જામનગર અપડેટ્સ: હાલ ભાજપાના નેતાઓ પુત્રને લઈને વિવાદમાં આવી રહ્યા છે. મનરેગાના કથિત કૌભાંડને લઈને ખુદ મંત્રી બચુભાઈ ખાબડ વિવાદમાં આવ્યા છે ત્યારે વધુ એક ભાજપના નેતા પુત્રને લઈને વિવાદમાં આવ્યા છે. જામનગર જીલ્લાના કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્રએ પીએમએવાય યોજના અંતર્ગત આવાસ યોજનાનો લાભ લીધો હોવાનું સામે આવતા ચકચાર સાથે સનસનાટી મચી ગઈ છે. ચાર ગામમાં ૫૩ વીઘા જમીન અને રાજકોટમાં આલીસાન મકાન છતાં ધારાસભ્યના એકના એક પુત્રએ આવાસ યોજનાનો લાભ લીધો છે. વૈભવી જીવન જીવતા ધારાસભ્યના પુત્ર પાસેતો કાર છે પરંતુ પિતા પણ બે કાર ધરાવે છે. આવી ‘દારુણ’ સ્થિતિ વચ્ચે ધારાસભ્યના પુત્રના કારનામાંએ હાલ ભાજપના ધારાસભ્યને બેકફૂટ પર લાવી દીધા છે. જો કે આ વિવાદને લઇ શું કહે છે ખુદ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જવાબદાર નગરપાલિકા ? આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં.

જામનગરના તત્કાલીન મેયર અને હાલના શહેર ભાજપા અધ્યક્ષ બીનાબેન કોઠારીએ આવાસ યોજનાનો લાભ લેતા જે તે સમયે ચર્ચાઓ જાગી હતી. ત્યારે વધુ એક ભાજપના નેતાના પુત્રએ આવાસ યોજનાનો લાભ લેતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ આવાસ યોજનાનો લાભ લેવા મકાન વિહોણા ગરીબ નાગરિકો યોજનાનો લાભ લેવા મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ માલેતુજાર ભાજપનાના ધારાસભ્યના પુત્રને યોજનાનો લાભ કેવી રીતે મળી ગયો તે પણ ચર્ચાનો વિષય છે.

કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જીલ્લા પંચાયતના સદસ્યાના પુત્ર મોહિતએ ધ્રોલ નગરપાલિકામાંથી પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હોવાની વિગતો જાહેર થઇ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ધારાસભ્યના પુત્ર મોહિતએ નગરપાલિકામાં પ્રધાન મંત્રી આવાસ યોજનાઓ લાભ મેળવવા અરજી કરી અને નગરપાલિકાએ ચોકસાઈ કર્યા વગર જ એ અરજી પાસ કરી દઈ ધારાસભ્યના પુત્રને યોજનાનો  લાભ આપી દીધો, જો કે પીએમએવાય યોજનામાં સ્પષ્ટ કરાયું છે કે યોજનાનો લાભ જે તે વ્યક્તિને જ મળશે જેનું ભારતભરમાં ક્યાય પણ છત વાળું પાકું મકાન ન હોય, ત્યારે ધ્રોલ નગરપાલિકાને એવો તે કેવો પ્રેમ ઉભરાયો કે ધારાસબ્યના પુત્રને યોજનાનો લાભ આપી દીધો?

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ વર્તમાન એમએલએ તરીકે નામાંકન પત્ર ભર્યું ત્યારે પોતાની સ્થાવર અને જંગમ મિલકતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેમાં ધ્રોલ તાલુકાના ચાર ગામમાં ૫૦ વીઘા કરતા વધુ ખેતીની જમીન, બે કાર અને મકાન અને બે કાર સહિતની સંપતીનો ઉલ્લેખ કર્યો છે. છતાં પણ એવી કેવી ગરીબાઈ આવી પડી કે આવાસ યોજનાનો લાભ લીધો ?

શું કહે છે ધ્રોલ નગરપાલિકા ?

હાલ આ મુદ્દે ધ્રોલ નગરપાલિકાના લગત કર્મચારી જીતુભાઈ ચાવડાએ આવાસ યોજનાના ધારાસભ્યના પુત્રને આપવામાં આવેલ લાભ અંગે જણાવ્યું હતું કે હા એ વાત સાચી છે કે ધારાસભ્યના પુત્ર મોહિતને નામે યોજનાની અરજીનું ફોર્મ માન્ય થયું છે અને લાભ અપાયો છે. જો કે આવાસ યોજનાના કયા ધારાધોરણોને લઇ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી એનો ઉતર આપવામાં કર્મચારીએ ગલ્લાતલ્લા કરી દસ્તાવેજી કાગળો જોઈ ને જ કહી શકાય એમ ઉમેર્યું હતું.

શું કહે છે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ?

આવાસ યોજનાના લાભ અંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘હા એ વાત સાચી છે કે મારા પુત્રએ પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે. યોજનાનો લાભ લીધો ત્યારે હું ધારાસભ્ય ન હતો. મારા પુત્ર લગ્ન બાદ મારાથી અલગ થઇ જતા તેની પાસે મકાન ન હતું તેથી યોજનાનો લાભ લીધો છે’ જો કે બીજી વખત ધારાસભ્ય બનેલ ચાવડાએ પ્રથમ વખતેના નામાંકનમાં પણ મકાન સહિતની મિલકતનો ઉલ્લેખ કર્યો જ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here