જામનગર: વારે વારે પધારો મુખ્યમંત્રી, અનેક વિસ્તારો અને માર્ગોની ભારે કાયા પલટ

મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે, મુખ્યમંત્રીના સમગ્ર રૂટ પર ચો-તરફ કલરકામ: ડામરના રોડ: સ્પીડ બ્રેકર ગાયબ: રેકડી ના જંગલો પણ સાફ

0
751

જામનગર અપડેટ્સ: જામનગર શહેરની મુલાકાતે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે મુખ્યમંત્રીના આગમન થી લઈને તેઓના રોકાણ સુધીના તમામ રૂટ પર જામનગર મહાનગરપાલિકા નું તંત્ર ઊંધા માથે થઈને કામે લાગ્યું છે, અને સમગ્ર રોડ રસ્તા પર નવા કલર કામ કરીને સાફ સુથરા અને ચમકતાઝ ચોખ્ખા ચણક બનાવાઈ રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓ પોકારી ઊઠયા છે, કે “ભલે પધારજો મુખ્યમંત્રી શ્રી” આપના આગમનને લઈને અમારું જામનગર સાફ સુથરુ બની રહ્યું છે.
 જામનગરના એરપોર્ટ થી લઈને ટાઉનહોલ સુધીના માર્ગે, ઉપરાંત સંભવિત કાર્યક્રમને અનુરૂપ શરૂ સેક્શન રોડ, કલેક્ટર કચેરી, તેમજ જામનગરના ગુલાબનગર સહિતના રોડ પર યુદ્ધના ધોરણે દિવસ અને રાત સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. જેના માટે જામનગર મહાનગરપાલિકા નું સમગ્ર તંત્ર ઊંધા માથે થયું છે.

ગૌરવ પથ માર્ગ પરની રેલિંગ તાત્કાલિક અસરથી તૂટી ગઈ હોય, ત્યાં નવા સાંધા મારીને ઉપરથી રંગ રોગન કરી દેવામાં આવી રહ્યું છે, અને જ્યા રોડ પર ખાડા ખડબા હોય, અને નગરની પ્રજા રોજ ટીચાતી હોય ત્યાં ડામર પાથરી ને નવા રોડ રસ્તા ઉભા કરી દેવાય છે. જ્યારે ક્યાંક નડતર રૂપ સ્પીડબ્રેકરો ને ગાયબ કરી દેવામાં આવ્યા છે, અને તાત્કાલિક અસરથી ડામર પાથરીને ઇમરજન્સી પેવર રોડ પણ બની રહ્યા છે.
 મુખ્યમંત્રીના રૂટ વાળા માર્ગે ગઈકાલથી એક પણ પ્રકારનું જાહેરાત નું હોર્ડિંગ, બોર્ડ વગેરેના દબાણો હટી ગયા છે, અને સમગ્ર માર્ગ ખુલ્લો બન્યો છે.ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ચુંટાયેલા પદાધિકારીઓ અને કેટલાક સ્ટાફ વગેરેની ભલામણ ને લઈને જાહેર માર્ગો પર અનેક સ્થળે રેકડી- કેબીન પથારા, મંડપ સામીયાણા વગેરે ખડકાયેલા રહે છે, પરંતુ મુખ્ય મંત્રી ના આગમનને પગલે આવા તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાવી દઇ સમગ્ર રસ્તા ને સાફ સુથરા બનાવી દેવાયા છે.

ઉપરાંત આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ઉઠાવી લઈ રસ્તો ખુલ્લો બનાવ્યો છે. કે જાણે નગરજનો માટે નવી સુવિધા પ્રાપ્ત બની ગઈ હોય, અને રેકડી વગેરેના જંગલો થી પણ મુક્તિ મળી રહી છે. જામનગર શહેરમાં સમયાંતરે વીઆઇપીઓનું આગમન થતું હોય છે, ત્યારે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવી હંગામી સાફ સફાઈ કરવામાં આવે છે, અને ટૂંકા સમય માટે નગરજનોને પણ આવી બધી સુવિધાનો લાભ મળે છે. જેથી રાજ્યના મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમને પણ શહેરીજનો સહર્ષ આવકાર આપી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here