જામનગર : ગત જાન્યુઆરી માસના ગાળામાં થયેલ ફાયરીંગ પ્રકરણમાં આજે નવો વળાંક આવ્યો છે. ખંભાલીયા નજીક થયેલ ફાયરીંગ ખુદ નિશાએ જ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એટીએસની ટીમે બે સખ્સોની કરેલી ધરપકડમાં સ્ફોટક વિગતો સામે આવી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા નજીક ચોથી જાન્યુઆરીના રોજ જામનગરના નિશા ગોંડલીયા પર ફાયરીંગ થયું હતું. કારમાં પસાર થતી નિશા પર કોઇ અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યુ હોવાના બનાવને લઇને સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવની પોલીસે વિગતવાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જામનગરના જમીન માફીયા જયેશ પટેલ અને તેના સાગ્રીતો યશપાલ સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. દરમ્યાન એટીએસ દ્વારા આ પ્રકરણની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબી તપાસના અંતે અમદાવાદ એટીએસએ આજે બે આરોપીઓને પકડી પાડયા છે. મુકેશ સિંધી અને અયુબ દરજાદા નામના બન્ને આરોપીઓની પુછપરછમાં આ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી હોવાની વિગતો સામે આવી છે. નિશાએ જ ફાયરીંગ કરાવ્યું હોવાની વિગતોને લઇને વધુ એક વખત જામનગર રાજયભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આ ઉપરાંત જામનગરના જમીન માફિયા જયેશ પટેલ, યશપાલસિંહ જાડેજા અને નિશા વચ્ચે આર્થિક વ્યવાહરો થયા હોવાની પણ વિગતો સામે આવી છે. જેને લઇને એટીએસ દ્વારા નિશા ગોંડલીયાની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિશા ગોંડલીયાએ રાજયના બહુચર્ચીત બીટકોઇન કૌભાંડને લઇને અવાર-નવાર મોટા ખુલાસાઓ કર્યા છે. જમીન માફિયા જયેશ પટેલ સામે પણ અવાર-નવાર આક્ષેપો કર્યા છે. એક વખત તો જામનગર પોલીસ વડા સામે પણ ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતાં ત્યારે નવા ઘટસ્ફોટને લઇને આગામી સમયમાં વધુ કડાકા-ભડાકા થવાની શકયતાઓ સેવાઇ રહી છે.